મહારાષ્ટ્રના રાયગઢમાં એક મોટી દુર્ઘટના થઈ છે. હકીકતે, રાયગઢમાં થયેલા ભૂસ્ખલનમાં 30 થી વધુ પરિવારો ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના રાયગઢના ખાલાપુર તાલુકાના ઈરશાલવાડી ગામે થઈ છે. તેમાં લગભગ 100 લોકો ફસાયેલા છે. જે સ્થળે આ દુર્ઘટના થઈ છે તે મોરબી ડેમથી છ કિલોમીટર દૂર છે. આ અકસ્માતમાં ઘણાં લોકોના મોત થયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતના અહેવાલ છે. તેમના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના વિશે મુખ્યમંત્રી શિંદે સાથે વાત કરી હતી અને તેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે.
Advertisement
Advertisement
રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે
રાયગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ યોગેશ મહાસેએ જણાવ્યું કે આ ઘટના મધરાતે બની હતી. સબ ડિવિઝનલ ઓફિસર અને તાલુકદારની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે જે સ્થળે ભૂસ્ખલન થયું છે ત્યાં સુધી પહોંચવા માટે બે કલાક સુધી ટ્રેકિંગ કરવું પડે છે તેના કારણે રાહત અને બચાવ કાર્ય પડકારજનક છે. ઘટનાની માહિતી મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અધિકારીઓને ફોન કરીને ઘટનાની જાણકારી મેળવી અને ગુરુવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પનવેલ અને નવી મુંબઈની તમામ હોસ્પિટલોને જાણ કરવામાં આવી છે અને અસરગ્રસ્તોને તમામ જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે.
રાયગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
બીજી તરફ હવામાન વિભાગે ગુરુવારે રાયગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જીલ્લા વહીવટીતંત્રે એનજીઓને એનડીઆરએફને મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે જેથી બચાવ કાર્ય વહેલી તકે પૂર્ણ કરી શકાય. NDRFની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે ચાર એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે. અકસ્માત થયો તે જગ્યાએ આદિવાસી લોકો રહે છે. દુર્ઘટનાસ્થળ પર પાંચ-છ મકાનો અને એક શાળા સલામત રીતે બચી ગયાં છે. વરસાદના કારણે 10-12 લોકો શાળામાં રોકાયા હતા. તેને લીધે તેમનો જીવ બચી ગયો હતો. બીજી તરફ મોરબી ડેમ પર માછીમારી કરવા ગયેલા પાંચ લોકોનો જીવ પણ બચી ગયો છે.
ગૃહમંત્રી અમિત શાહે ઘટનાની માહિતી મેળવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસેથી ફોન પર ઘટનાની માહિતી લીધી છે. એક ટ્વિટમાં અમિત શાહે લખ્યું, ‘મેં મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે વાત કરી હતી. NDRFની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થાનિક વહીવટીતંત્રની સાથે બચાવ કામગીરીમાં જોડાઈ છે. અમારી પ્રાથમિકતા લોકોને ત્યાંથી બહાર કાઢવાની અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાની છે.
Advertisement