વિદેશથી ચલાવવામાં આવી રહેલા ખાલિસ્તાન આંદોલનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનમાં રહેતા અને અમૃતપાલને માર્ગદર્શન આપનારા ખાલિસ્તાન સમર્થક અવતાર સિંહ ખાંડાનું બર્મિંગહામની એક હોસ્પિટલમાં નિધન થયું છે. એજન્સીઓને ટાંકીને આ માહિતી પ્રાપ્ત થઈ છે. કહેવાય છે કે ખાંડા ICUમાં લાઇફ સપોર્ટ પર હતો, છેલ્લાં કેટલાંક દિવસોથી તેની હાલત નાજુક હતી, જે બાદ મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું. અવતાર સિંહ ખાંડાને ગયા અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
NIAના વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો
અવતાર સિંહ ખાંડા લંડનમાં ભારતીય દૂતાવાસ પર હુમલાનો મુખ્ય આરોપી હતો. ભારતીય દૂતાવાસ પર હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારથી NIA તેને ભારત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. તે NIAના વોન્ટેડ લિસ્ટમાં હતો. અમૃતપાલ પહેલા ખાંડાની મુલાકાત ‘વારિસ પંજાબ દે’ સંસ્થા ચલાવતા દીપ સિદ્ધુ સાથે થઈ હતી. પરંતુ સિદ્ધુના મૃત્યુ બાદ તે સંસ્થા ચલાવવા માટે તેણે અમૃતપાલને પંજાબ મોકલી દીધો હતો.
કોણ છે અવતાર સિંહ ખાંડા?
લંડનમાં ભારતીય દૂતાવાસ પર ત્રિરંગાનું અપમાન કરનાર વ્યક્તિ અવતાર સિંહ ખાંડા હતો. એટલું જ નહીં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની ધરપકડ બાદ ખાંડાએ લંડનમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને તેનું નેતૃત્વ કર્યું હતું. અવતાર સિંહનો આખો પરિવાર ખાલિસ્તાન આંદોલન સાથે જોડાયેલો છે. કહેવાય છે કે અમૃતપાલને પંજાબ મોકલવામાં તેનો હાથ હતો. એજન્સીઓ અનુસાર, ખાંડા બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો.
ભારતીય એજન્સીઓ લાંબા સમયથી અવતાર સિંહ ખાંડા પર નજર રાખી રહી હતી, પરંતુ, જ્યારે તેણે ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો અને ત્રિરંગાનું અપમાન કર્યું ત્યારે ભારતના લોકોને તેના વિશે ખબર પડી હતી. મળતી માહિતી મુજબ, અવતાર સિંહ ખાંડા બ્લડ કેન્સરથી પીડિત હતા, થોડાં દિવસો પહેલા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના મૃત્યુની માહિતી સામે આવી રહી છે.
Advertisement