નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં લગભગ 23 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા તમામ પક્ષકારોને 27 જુલાઈ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે જવાબ દાખલ કર્યા બાદ કોઈ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ કેસમાં આગામી સુનાવણી 2 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કેન્દ્રના નવા સોગંદનામાને ધ્યાને લેવાનો પણ ઇનકાર કર્યો હતો.
Advertisement
Advertisement
2 ઓગસ્ટથી સતત સુનાવણી હાથ ધરાશે
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચના કહેવા પ્રમાણે આ અરજીઓની સુનાવણી સોમવાર અને શુક્રવાર સિવાય દરરોજ કરવામાં આવશે. જ્યારે સુનાવણીને સરળ બનાવવા માટે કોર્ટે નોડલ વકીલ તરીકે બે વકીલોની નિમણૂક પણ કરી છે.
પિટિશનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું
બીજી તરફ, IAS અધિકારી શાહ ફૈઝલ અને કાર્યકર્તા શેહલા રશીદે કલમ 370 નાબૂદ કરવા સામેની તેમની અરજીઓને રદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આ કેસમાંથી ખસી જવા માંગે છે. કોર્ટના રેકોર્ડમાંથી પોતાના નામ દૂર કરવા માંગે છે. અરજદાર તરીકે તેમનું નામ હટાવવાની વિનંતીને કોર્ટે સ્વીકારી લીધી છે.
ન્યાય મળવાની આશા
નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે 2019 થી આ દિવસની રાહ જોતાં આવ્યા છીએ કારણ કે અમને લાગે છે કે અમારો કેસ મજબૂત છે. અમે સુપ્રીમ કોર્ટ પાસેથી પણ આશા રાખીશું અને વિનંતી કરીશું કે તેની વહેલામાં વહેલી તકે સુનાવણી થાય. તેમણે વધુમાં કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ પાસેથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે જે અન્યાય થયો, જે છેતરપિંડી થઈ, કાયદાની અવગણના થઈ, તેનો જવાબ સુપ્રીમ કોર્ટે પાસેથી મળશે.
કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં અભૂતપૂર્વ સ્થિરતાનો તબક્કો છે. ત્રણ દાયકાની ઉથલપાથલ બાદ આ વિસ્તારમાં જનજીવન સામાન્ય થઈ ગયું છે. રાજ્યમાં સતત પ્રગતિ થઈ રહી છે. શાળા – કોલેજો અને અન્ય જાહેર સંસ્થાઓ ત્રણ વર્ષમાં કાર્યક્ષમ રીતે કામ કરી રહી છે. પથ્થરમારો હવે ભૂતકાળની વાત બની ગયો છે. હવે અન્ય પ્રાંતોના લોકો જેટલાં જ અધિકાર ખીણપ્રદેશના લોકોને પણ પ્રાપ્ત છે. આતંકવાદી-અલગતાવાદી એજન્ડા હેઠળ 2018 માં પથ્થરમારાની 1,767 ઘટનાઓ બની હતી, જે 370 પાછી ખેંચી લીધા પછી 2023 માં આજદિન સુધી શૂન્ય છે.
ગૃહ મંત્રાલયે 5 ઓગસ્ટ, 2019ના નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ફેરફારો અંગે સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે હડતાળ, પથ્થરમારો અને અટકાયતની પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે. પથ્થરમારાની કોઈ ઘટના બની નથી. શિક્ષણનો અધિકાર કાયદો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપતા કેન્દ્રીય કાયદાઓ પણ અમલમાં છે. કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી 20 થી વધુ અરજીઓ પર કેન્દ્રનો જવાબ આવ્યો છે.
Advertisement