જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે ત્રીજા આતંકવાદીને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં હજુ પણ અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ પહેલા આતંકીઓએ બચવા માટે હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પરંતુ સફળતા ન મળતાં સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
Advertisement
Advertisement
અહેવાલો અનુસાર, સેનાની વળતી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ત્રીજા આતંકવાદીની શોધખોળ ચાલી રહી છે. અગાઉ ગામમાં એક – બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. આ પછી સેનાએ મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે પુલવામાના લારો-પરીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. હાલ ઘટનાસ્થળે ભારે પોલીસ દળ અને સુરક્ષા દળો તૈનાત છે.
આતંકીઓએ હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો
આતંકીઓને પકડવા માટે સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ દરમિયાન આતંકીઓએ બચવા માટે સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જોકે, સફળતા ન મળતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે, જ્યારે ત્રીજાની શોધ ચાલુ છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજા આતંકીને જલ્દી ઠાર કરવામાં આવશે.
પોલીસે 10 આતંકીઓની ધરપકડ કરી હતી
આ અગાઉ શુક્રવારે પોલીસે જમ્મુ – કાશ્મીરના બારામુલામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તેમજ તોયબા સાથે સંકળાયેલા કુલ દસ આતંકવાદીઓ અને તેમને મદદ કરનારા દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. બારામુલાના ઉરીના ચુરુંડા વિસ્તારમાં સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ આતંકવાદી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સેનાએ તેને પકડી લીધો હતો. ધરપકડ કરાયેલા શૌકત અલી અવાને પાછળથી તેના સાથી આતંકવાદીઓના નામ જણાવ્યા અને તેમની પણ ધરપકડ કરવામાં આવી. પોલીસે આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.
Advertisement