મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં એક RPF કોન્સ્ટેબલે તેના સિનિયર ASI પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ASI અને અન્ય 3 મુસાફરોનું ગોળી વાગવાથી મોત થયું હતું. ચેતન નામના કોન્સ્ટેબલે આ ફાયરિંગ કર્યું હતું. મીરા રોડથી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ચારેય મૃતદેહોને શતાબ્દી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કોન્સ્ટેબલ અને ASI વચ્ચે બોલાચાલી થઈ હતી
આ ઘટના સોમવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ ફાયરિંગ ટ્રેનના B 5 કોચમાં થયું હતું. ગોળીબારમાં ગોળી વાગવાથી ચાર લોકોના મોત થયા હતા. જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવાય છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના વરિષ્ઠ ASI વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો અને દલીલબાજી થઈ હતી. ત્યારબાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું. દહિંસર વિસ્તારમાં પાલઘર અને મુંબઈ વચ્ચે ટ્રેનમાં ફાયરિંગ થયું હતું. આરપીએફ કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવમાં હોવાનું કહેવાય છે.
રેલવે અધિકારીઓ દ્વારા તપાસ
મુંબઈમાં ડીઆરએમ નીરજ વર્માએ જણાવ્યું કે, સવારે લગભગ છ વાગે અમને માહિતી મળી કે આરપીએફ જવાને ગોળીબાર કર્યો છે, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. આરોપી કોન્સ્ટેબલ એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો. રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને વળતર સહાયની જાહેરાત કરવામાં આવશે.
ફાયરિંગનું કારણ સ્પષ્ટ નહીં
પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે ‘આજે મુંબઈ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક કમનસીબ ઘટના બની હતી. આરપીએફના એક કોન્સ્ટેબલ ચેતન કુમારે તેના સાથી એએસઆઈ ટીકારામ મીણા પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન અન્ય ત્રણ મુસાફરોને પણ ગોળી વાગી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેના અધિકૃત હથિયારથી ફાયરિંગ કર્યું હતું. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મામલીની તપાસ કરવામાં આવી રહી છે.’
Advertisement