પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં કોર્ટે ઈમરાન ખાનને બે અઠવાડિયાના જામીન આપ્યા છે. ઈમરાન ખાનને કડક સુરક્ષા વચ્ચે આગોતરા જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેવામાં એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 9 મેના રોજ હિંસા કેસમાં ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. ઈમરાન ખાને પોતે તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી છે.
Advertisement
Advertisement
આ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનને મોટી રાહત આપી હતી. કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ સુનાવણી પર રોક લગાવી દીધી છે. ઈમરાન ખાન વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ ચાલશે નહીં. પાકિસ્તાનના ચૂંટણી પંચે ક્રિમિનલ ટ્રાયલ માટે અરજી કરી હતી. ઈમરાનને કોર્ટમાં હાજર કરતાં પહેલા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે અત્યાર સુધીમાં એક હજારથી વધુ પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરી છે.
સુપ્રીમ કોર્ટે ઈમરાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો
ગુરુવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને અયોગ્ય ઠેરવતા તેમને કોર્ટ પરિસરમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ સરકાર અને સેના બંને બેકફૂટ પર આવી ગયા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને પણ મોટો ઝટકો લાગ્યો છે. શરીફની પાર્ટીના ઘણા નેતાઓ ચીફ જસ્ટિસ પર નિશાન સાધી રહ્યા છે.
કોર્ટમાં હાજર થતા પહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે પોલીસ લાઈનના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. અહીંથી તેમને સીધા હાઈકોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે ઈમરાન ખાને પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કસ્ટડી દરમિયાન તેને લાકડીઓથી મારવામાં આવ્યો હતો. આવું વર્તન ગુનેગારો સાથે પણ સ્વીકાર્ય નથી.
મારી સામે 145 કેસ નોંધાયા છેઃ ઈમરાન ખાન
ઈમરાન ખાને કહ્યું કે તેમની સામે 145 કેસ નોંધાયા છે. તેની આતંકવાદીની જેમ ધરપકડ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતર મિનાલ્લાહની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી તેની ધરપકડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદે છે.
સેનાએ ઈમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી કરી હતી ધરપકડ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી અર્ધલશ્કરી દળોએ ધરપકડ કરી હતી. બેન્ચે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)ને સ્થાનિક સમય અનુસાર સાંજે 4.30 વાગ્યા સુધીમાં ઈમરાનને હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ખાનને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.
અલકાદિર ટ્રસ્ટ કેસમાં તેમની ધરપકડ સામે પીટીઆઈના અધ્યક્ષની અરજીની સુનાવણી દરમિયાન પાક રેન્જર્સે જે રીતે તેમની ધરપકડ કરી તેના પર પણ બેન્ચે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખંડપીઠે અધિકારીઓને તેમની સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ બંદિયાલે ઈમરાનને કહ્યું, ‘તમને જોઈને સારું લાગ્યું. અમે માનીએ છીએ કે તમારી ધરપકડ ગેરકાયદેસર છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરવી જોઈએ અને તે જે પણ નિર્ણય આપે તે તમારે સ્વીકારવો પડશે.
Advertisement