નવી દિલ્હી : સુદાનમાં ભારે હિંસા ફાટી નીકળી છે. સૈન્યના બે દળો વચ્ચેની લડાઈમાં સુદાનના નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. હિંસાની આગમાં સપડાયેલા સુદાનમાં 3000 કરતાં વધુ ભારતીયો ફસાયા છે. ભારત સરકારે ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન કાવેરી લોંચ કરી દીધું છે. એરફોર્સના વિમાનો અને યુદ્ધજહાજને રવાના કરી દેવાયા છે.
Advertisement
Advertisement
ઓપરેશન કાવેરી શરૂ કરીને ભારત સરકાર સુદાનમાં ફસાયેલા તમામ ભારતીયોને પાછા લાવશે. પહેલી ખેપમાં લગભગ 500 ભારતીયોને પાછા લવાશે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટરમાં આ ઓપરેશનની જાણકારી આપી હતી. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે સુદાનમાં સૈન્યદળો વચ્ચે ચાલતા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400 કરતાં વધુનાં મોત થઈ ચૂક્યા છે અને 3500ને ઈજા પહોંચી છે.
બધા દેશોએ પોત-પોતાના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવા ઓપરેશન શરૂ કર્યાં છે. વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે સુદાનના બંદરે યુદ્ધજહાજ આઈએનએસ સુમેઘા પહોંચી ગયું છે. તે ઉપરાંત એરફોર્સના બે સી-130 પ્રકારના વિમાનો પણ ભારતથી રવાના થયા હતા અને સાઉદી અરબના જેદ્દામાં પહોંચ્યા હતા.
આ ભારતીયો સુદાન બંદરે પહોંચી ચૂક્યા છે. એ તમામ આઈએનએસ સુમેઘામાં સાઉદી આવશે અને ત્યાંથી વિમાન મારફતે ભારત લાવવામાં આવશે.વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટરમાં જાણકારી આપી હતીઃ ઓપરેશન કાવેરી શરૂ કરી દેવાયું છે. સુદાનમાંથી બધા જ ભારતીયોને પાછા લવાશે. 500 ભારતીયો બંદરે પહોંચી ચૂક્યા છે. વધુ હજુ રસ્તામાં છે. એરક્રાફ્ટ અને શિપ તૈનાત થઈ ચૂક્યા છે. સુદાનમાં ફસાયેલા તમામને જરૂરી સહાય આપવામાં આવી રહી છે.
દરમિયાન ફ્રાન્સે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને ફ્રાન્સના નાગરિકો ઉપરાંત અન્ય દેશોના નાગરિકોને પણ સુદાનમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું, એમાં ભારત સહિત 28 દેશોના 388 નાગરિકોને પેરિસમાં લઈ આવવામાં આવ્યા હતા. જોકે, ફ્રાન્સના મિશનમાં કેટલા ભારતીયો પેરિસ પહોંચ્યા છે તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો ન હતો.
નવી દિલ્હી સ્થિત ફ્રાન્સ દૂતાવાસે આ જાહેરાત કરી હતી. એ જ રીતે સાઉદીએ પણ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં 66 વિદેશી નાગરિકોને બહાર કઢાયા હતા. આ વિદેશી નાગરિકોમાં ભારતીયો પણ છે.
યુરોપિયન સંઘે પણ સભ્ય દેશોના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઈયુના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે 1000 કરતાં વધુ લોકોને સલામત રીતે સુદાનમાંથી પાછા લાવવામાં આવ્યા છે. હજુય ઓપરેશન જારી છે. વિદેશી નાગરિકોને પણ મદદ કરવામાં આવી રહી છે. શક્ય એટલી ઝડપથી તમામ વિદેશી નાગરિકો સ્વદેશ પાછા ફરે એવી કોશિશ ચાલી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તા માર્ગારેટ હેરિસે સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે સુદાનની સરકારે જાહેર કરતા આંકડાં પ્રમાણે છેલ્લાં 11 દિવસમાં હિંસક સંઘર્ષના કારણે 413 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 3551 નાગરિકો ઘાયલ થયા છે. મૃતકોમાં કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોનો આંકડો વધુ હોવાની શક્યતા પણ વ્યક્ત થઈ હતી.
અમેરિકાના જ 16000 નાગરિકો સુદાનમાં ફસાયા
20 કરતાં વધુ દેશોએ પોત-પોતાના નાગરિકોને સુદાનમાંથી પાછા લઈ આવવા માટે ઓપરેશન શરૂ કર્યાં છે. અમેરિકાએ દૂતાવાસ બંધ કરીને ૭૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને પાછા લાવવા માટે હેલિકોપ્ટર્સ મોકલ્યા હતા. તે ઉપરાંત લગભગ 16000 જેટલાં અમેરિકન નાગરિકો સુદાનમાં ફસાયા છે.
અમેરિકાના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે આ તમામ નાગરિકોએ પોતાની રીતે પાછા ફરવાની વ્યવસ્થા કરવી પડશે. એમ્બેસી બંધ કરી દેવામાં આવી હોવાથી હવે તમામ નાગરિકો માટે અલગથી ઓપરેશન શરૂ કરવાનું કામ કપરું છે. બ્રિટને 2000 નાગરિકોને પાછા લાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
બ્રિટિશ દૂતાવાસના 30 કર્મચારીઓને પરત બોલાવી લેવાયો હતો. ફ્રાન્સે લશ્કરી વિમાનો મોકલીને વિદેશી નાગરિકો સહિત 388ને સુદાનમાંથી બહાર કાઢ્યા હતા. જર્મનીએ સુદાનથી જોર્ડનના રસ્તે 311 નાગરિકોને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
ઈટાલીના એરફોર્સ વિમાનોમાં 200 લોકો સ્વદેશ પાછા ફર્યા હતા. સ્પેનના ઓપરેશનમાં 34 સ્પેનિશ નાગરિકો સહિત 172 લોકોને પાછા લાવવામાં આવ્યા હતા. સ્વીડન-ડેનમાર્કે ફ્રાન્સની મદદથી પોતાના 25 નાગરિકોને બહાર કાઢ્યા હતા. જાપાન, જોર્ડન, ઈજિપ્ત, પોલેન્ડ સહિતના દેશોએ પોત-પોતાના નાગરિકોને હેમખેમ પરત લાવવા ઓપરેશનો શરૂ કર્યા હતા.
Advertisement