વોશિંગ્ટન ડીસી: અમેરિકા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી, ત્યારબાદ યુએસ પ્રમુખ જો બાઈડન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પ્રેસ નિવેદન બહાર પાડ્યું હતું. આ પ્રસંગે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે સાથે મળીને અમર્યાદિત સંભાવનાઓ સાથે સહિયારા ભવિષ્યના દ્વાર ખોલી રહ્યા છીએ. સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં વેગ લાવવા માટે અતરિક્ષ ઉડ્ડયન પર સહકાર અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને કૃત્રિમ બુદ્ધિમત્તા માટે સહયોગની જરૂર છે. એર ઈન્ડિયા દ્વારા બોઈંગ એરક્રાફ્ટ ખરીદવાના કરારથી અમેરિકામાં 10 લાખ નોકરીઓને મદદ મળશે.
Advertisement
Advertisement
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારત અને અમેરિકાના સંબંધોના ઈતિહાસમાં વિશેષ સંબંધ ધરાવે છે. આજની ચર્ચા અને અમારા દ્વારા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવું અધ્યાય શરુ થયું છે. નવી દિશા અને નવી ઉર્જા મળી છે. ભારત-યુએસ વેપાર રોકાણ ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર છે. અમે નક્કી કર્યું છે કે વેપાર સંબંધિત પડતર મુદ્દાઓને સમાપ્ત કરીને નવી શરૂઆત કરવામાં આવશે. અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, સ્પેસ, ક્વોન્ટમ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં અમારો સહયોગ વધારીને મજબૂત અને ભવિષ્યવાદી ભાગીદારી બનાવી રહ્યા છીએ.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સાંસ્કૃતિક પરંપરામાં આબોહવાનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. અમે પ્રકૃતિના શોષણમાં માનતા નથી. ભારતીય રેલ્વેએ 2030 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ભારતીય રેલવે કહેવાનો અર્થ એ છે કે દરરોજ અમારી ટ્રેનના ડબ્બામાં આખું ઓસ્ટ્રેલિયા હોય છે, અમારો દેશ એટલો મોટો છે. ICET એટલે કે ક્રિટીકલ અને ઇમર્જિંગ ટેકનોલોજી માટેની પહેલ અમારા ટેકનિકલ સહકારના એક મહત્વપૂર્ણ માળખા તરીકે ઉભરી આવી છે. AI, સેમિકન્ડક્ટર, સ્પેસ જેવા ક્ષેત્રોમાં અમારો સહયોગ વધારીને, અમે એક મહત્વપૂર્ણ અને ભવિષ્યવાદી ભાગીદારીની રચના કરી રહ્યા છીએ.
આ પ્રસંગે આતંકવાદનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ અને કટ્ટરવાદ સામેની લડાઈમાં ખભે ખભો મિલાવીને ચાલી રહ્યા છે. સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે નક્કર પગલાં જરૂરી હોવા અંગે અમે સંમત છીએ. ગ્લોબલ સાઉથના દેશો ખાસ કરીને કોવિડ મહામારી અને યુક્રેન સંઘર્ષથી પીડાયા છે. અમારું માનવું છે કે આ સમસ્યાઓના ઉકેલ માટે તમામ દેશોએ એક થવું જરૂરી છે. યુક્રેનમાં ઘટનાક્રમની શરૂઆતથી, ભારતે આ વિવાદને વાટાઘાટો અને કૂટનીતિના માધ્યમથી ઉકેલવા પર ભાર મૂક્યો છે. આફ્રિકાને G20 નું સંપૂર્ણ સભ્ય બનાવવાના મારા પ્રસ્તાવને સમર્થન આપવા બદલ હું રાષ્ટ્રપતિ બાઈડનનો આભાર માનું છું.
Advertisement