એશિયાના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેગા મેચ આજે શ્રીલંકાના પાલેકલમાં રમાશે. ક્રિકેટરસિકો આ મહામુકાબલાનો ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમો 4 વર્ષ બાદ વન-ડેમાં સામસામે ટકરાશે. આ પહેલાં 2019 વન-ડે વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે જોવા મળી હતી.
Advertisement
Advertisement
વિશ્વની ટોપ-ટેન ક્રમાંકિત બંને ટીમો ચાર વર્ષ બાદ વન-ડે ફોર્મેટમાં સામ-સામે ટકરાવા જઈ રહી હોવાથી સમગ્ર વિશ્વના ચાહકોની નજર આ મેચ પર ટકેલી છે. બપોરે 3 વાગ્યાથી શરૂ થનારી આ વનડે મેચમાં વરસાદની સંભાવનાને કારણે ચાહકો ચિંતિત બન્યા છે. ભારતની મજબૂત બેટિંગ લાઈનઅપ સામે પાકિસ્તાનના ફાસ્ટ બોલરો વચ્ચે સ્પર્ધાને કારણે આ મેચમાં લોકોનો રસ ઘણો વધી ગયો છે.
લગભગ 35,000 દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ ચોક્કસપણેક્રિકેટચાહકોથી ભરેલું હશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયામાં કોહલીની સાથે ગિલ, અય્યર, કિશન જેવા યુવા અને અનુભવી બેટ્સમેનોનું જબરદસ્ત સંયોજન છે. જ્યારે પાકિસ્તાનની બોલિંગની જવાબદારી આફ્રિદી, નસીમ શાહ અને રઉફ પર રહેશે. મેચના એક દિવસ પહેલા પાકિસ્તાને પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. ઈજાથી પરત ફરતા ભારતના બુમરાહ સાથે શમીની ઘાતક બોલિંગ બાબર-ઇમામ સહિત પાકિસ્તાનના બેટ્સમેનોને ભારે પડી શકે છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જ્યારે કુલદીપને પણ જાડેજાની સાથે સ્પિનર તરીકે સ્થાન મળે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન ‘હાઈબ્રિડ મોડલ’માં કરવામાં આવ્યું છે. એશિયા કપની મેચો પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. વાસ્તવમાં ભારતીય ટીમે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ACCએ PCBનું ‘હાઈબ્રિડ મોડલ’ સ્વીકાર્યું હતું.
Advertisement