હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. બન્ને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. બીજી બાજુ ટ્રુડોના નિવેદનને કારણે હિંદુઓ પર ખતરો વધી ગયો છે. ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ ભારતીય મૂળના હિંદુઓને તાત્કાલિક કેનેડા છોડી દેવા કહ્યું છે. દરમિયાન, ભારતે એક એડવાઈઝરી જારી કરીને કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે જારી કરેલી એડવાઈઝરીમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને Madad.gov.in દ્વારા ભારતીય હાઈ કમિશનમાં તેમની માહિતી રજીસ્ટર કરાવવા માટે જણાવ્યું છે. કેનેડાએ પણ પોતાના નાગરિકો માટે આવી એડવાઈઝરી જારી કરી હતી.
Advertisement
Advertisement
એડવાઈઝરીમાં શું કહેવાયું છે?
મંત્રાલય દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં વધી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીયરૂપે સમર્થિત હેટ ક્રાઈમ્સને ધ્યાનમાં રાખીને, ત્યાં રહેતા અને મુસાફરી કરવાનું આયોજન કરતા ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અનુરોધ કરવામાં આવે છે. એડવાઈઝરીમાં વધુમાં કહેવાયું છે કે તાજેતરની ધમકીઓમાં ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરતા ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ભારતીય નાગરિકો MADAD પોર્ટલમાં પોતાની નોંધણી કરાવે – મંત્રાલય
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને MADAD પોર્ટલ અથવા વેબસાઇટ પર તેમની માહિતી રજીસ્ટર કરવા જણાવ્યું છે. ભારતીય નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કેનેડામાં જ્યાં તાજેતરમાં હિંસક ઘટનાઓ જોવા મળી હોય એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે. મંત્રાલયે કહ્યું છે કે કેનેડામાં ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલના અધિકારીઓ કેનેડિયન અધિકારીઓ સાથે સંપર્કમાં રહેશે.
મંત્રાલયે ભારતીય નાગરિકોને નોંધણી કરાવવા શા માટે કહ્યું ?
મંત્રાલયે કહ્યું છે કે ભારતીય નાગરિકો કેનેડામાં ઓટાવા, ટોરોન્ટો સ્થિત ભારતીય દૂતાવાસ અથવા વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની વેબસાઇટ પર પણ પોતાની નોંધણી કરાવી શકે છે. મંત્રાલયે કહ્યું છે કે આ નોંધણી ભારતીય દૂતાવાસોને કોઈપણ કટોકટીની અથવા અનિચ્છનિય ઘટનાના કિસ્સામાં ભારતીય નાગરિકોનો સંપર્ક કરવા અને તેમને સહયોગ કરવામાં મદદરૂપ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે કેનેડાએ પણ એડવાઈઝરી જારી કરી હતી.
Advertisement