મધ્યપ્રદેશના સતના જિલ્લામાં નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. 11 વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. આજે સવારે મેહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીડિતા ઘાયલ મળી આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત નાજુક છે.
Advertisement
Advertisement
પોલીસે બે લોકોની ધરપકડ કરી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલથી ગુમ થયેલી એક બાળકી મૈહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહીથી લથપથ ગંભીર હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીને મૈહરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ તેની હાલત ખૂબ જ નાજુક હતી, જેના કારણે તેને રીવા રેફર કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા જ એસડીએમ અને એસડીઓપી પોલીસની સાથે મૈહર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મ સહિતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં 2 શકમંદોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કર્યો
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, મને મૈહરમાં બાળકી પર દુષ્કર્મની માહિતી મળી છે, મારું હૃદય પીડાથી ભરાઈ ગયું છે, હું વ્યથિત છું. મેં પોલીસને સૂચના આપી છે કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં ન આવે, પોલીસે ગુનેગારોની ધરપકડ કરી છે. બાળકીની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિપક્ષે સરકાર પાસેથી એક કરોડ રૂપિયાની આર્થિક સહાયની માંગ કરી
રાજ્યના પૂર્વ સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શોક વ્યક્ત કર્યો છે અને શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “મૈહરમાં નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના અત્યંત નિંદનીય છે. નિર્ભયાકાંડની જેમ બાળકી સાથે અમાનવીય વ્યવહારનો મામલો પણ સામે આવી રહ્યો છે. રાજ્યમાં છોકરીઓ પર થતા અત્યાચારની ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે શિવરાજ સરકાર બહેન-દીકરીઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. હું મુખ્યમંત્રી પાસે માંગ કરું છું કે બાળકીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે અને તેને તાત્કાલિક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે.
Advertisement