તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે તોશાખાના કેસને અયોગ્ય જાહેર કર્યો અને ઈમરાન ખાનની જામીન અરજી મંજૂર કરી દીધી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અમીર ફારુકે આ ચુકાદો સંભળાવ્યો હતો.
Advertisement
Advertisement
વડાપ્રધાનપદે રહ્યા તે દરમિયાન ભેટમાં મળેલી અતિકિંમતી કાંડા ઘડિયાળ ઉપરાંત ઘણી મોંઘી ચીજવસ્તુઓ વેચી દેવાનો ઈમરાન ખાન પર આરોપ છે. પાકિસ્તાનમાં 1974 માં સ્થપાયેલ, તોશાખાના એ કેબિનેટ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળનો એક વિભાગ છે, જે અન્ય સરકારો અને રાજ્યના વડાઓ તથા વિદેશી મહાનુભાવો દ્વારા શાસકો, સંસદસભ્યો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવેલી કિંમતી ભેટોનો સંગ્રહ કરે છે.
એક રિપોર્ટ અનુસાર NABએ તોશાખાના કેસની તપાસના સંબંધમાં ઈમરાન ખાનને સમન્સ પાઠવ્યું હતું. ઉપરાંત, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાનને રાજ્યમાંથી મળેલી તમામ ભેટોનો રેકર્ડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. NABની નોટિસ મુજબ ઈમરાન ખાનને તોશાખાનામાંથી 108 ભેટ મળી છે. અહેવાલો અનુસાર, NABએ NCAકૌભાંડના સંબંધમાં બુશરા બીબીને સમન્સ પાઠવ્યું છે. તેમને અલ-કાદિર ટ્રસ્ટ કરાર સાથે સંકળાયેલા દસ્તાવેજો રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
દરમિયાન, ઈમરાન ખાને રવિવારે આરોપ લગાવ્યો હતો કે વહીવટીતંત્રે તેમને જેલમાં ધકેલી દેવાની યોજના બનાવી છે અને તેમની ધરપકડ તરફ દોરી જતો સમગ્ર એપિસોડ પૂર્વઆયોજિત હતો. પોતાના સંબોધનમાં ઈમરાન ખાને તેમની સામે નોંધાયેલા તમામ ભ્રષ્ટાચારના કેસોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કર્યો હતો.
પાકિસ્તાનના પૂર્વ પીએમએ કહ્યું,” હું ઈચ્છું છું કે દેશ એ જાણે કે કેવી રીતે ખોટા અને પાયાવિહોણા કેસના આધારે મારી ધરપકડ કરવાની યોજના બનાવાઈ છે. ક્વેટામાં એક વકીલની હત્યા કરવામાં આવે છે અને કોઈપણ તપાસ અને પુરાવા વિના તે જ દિવસે શાહબાઝ શરીફના સલાહકાર ટીવી પર આવે છે અને કહે છે કે આ હત્યા ઈમરાન ખાને કરી હતી અને બાદમાં એ જ વકીલની વિધવાના વીડિયોમાં કોણે શું કર્યું તે દર્શાવાયું છે. ઈમરાને કહ્યું કે આ રાજનીતિ નથી… આ જેહાદ છે. આપણે બધા ગુલામ છીએ.”
Advertisement