ઓડિશાના બાલાસોરમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયાં હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે 1100 થી વધુ લોકો ઘાયલ છે, જેમાંથી ઘણાંની હાલત ગંભીર છે, તેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માતને લઈને રાજકીય નિવેદનબાજી પણ થઈ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના કહેવા પ્રમાણે, દાળમાં કંઈક કાળું છે, તેથી જ બે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે.
Advertisement
Advertisement
મીડિયા સાથે વાત કરતા સીએમ મમતાએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જે દિવસે આ દુર્ઘટના થઈ તે જ દિવસે અમે 150 એમ્બ્યુલન્સ, 50 ડોકટરો, નર્સો, બસો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને અકસ્માત સ્થળે મોકલી હતી, અમે ઓડિશા સરકારને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. આ દુર્ઘટનામાં પશ્ચિમ બંગાળના 62 લોકોના મોત થયા છે. અહીં 206 લોકોની સારવાર ચાલી રહી છે. ઓડિશામાં, પશ્ચિમ બંગાળના 73 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 56 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ સુધી 182 લોકોની ઓળખ થઈ શકી નથી.
આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા આપશે, તેમની સંપૂર્ણ સારવાર કરાવશે અને ત્રણ મહિના સુધી મદદ પણ કરશે. સામાન્ય ઈજાગ્રસ્તોને રાજ્ય સરકાર 25,000 રૂપિયા ચૂકવશે. ગઈ કાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન બંને મારી સાથે ઉભા હતા પણ મેં કશું કહ્યું નહિ, હું ઘણું કહી શકી હોત કારણ કે હું પોતે રેલ્વે મંત્રી રહી ચુકી છું… કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસમાં એન્ટી કોલીઝન ડીવાઈસ કેમ ન હતા? રેલવેને માત્ર વેચવા માટે જ છોડી દેવાઈ છે.
આ ઉપરાંત મમતા બેનરજીએ કહ્યું કે બાલાસોર દુર્ઘટનામાં બચીને જે લોકો પોતાના ઘરે પરત ફર્યા છે પરંતુ આઘાતમાં છે તેમને રાજ્ય સરકાર 10,000 રૂપિયા આપશે અને આગામી ત્રણ મહિના સુધી દરેક પરિવારને 2,000 રૂપિયા અને રાહત સામગ્રી આપવામાં આવશે. ગઈકાલે જ્યારે મેં એન્ટી કોલિઝનની વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે રેલવે મંત્રી ચૂપ કેમ હતા? બે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, દાળમાં કંઈક કાળું છે. હું ઈચ્છું છું કે સત્ય બહાર આવે. મારે રેલવે મંત્રીનું રાજીનામું નથી જોઈતું.
Advertisement