મુંબઈઃ છેલ્લાં કેટલાક દિવસોથી મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. નાંદેડ બાદ નાગપુરમાં માત્ર ચાર દિવસમાં 80 દર્દીઓના મોત થયા છે. આ બે જિલ્લામાં દર્દીઓના મૃત્યુની સંખ્યા પર નજર કરીએ, તો કુલ 131 લોકો મૃત્યુ પામ્યા છે. આ માટે કોણ જવાબદાર છે તે એક મોટો પ્રશ્ન છે. હોસ્પિટલ મેનેજમેન્ટ અને આરોગ્ય વિભાગ તરફથી યોગ્ય જવાબ ન મળતા હવે માનવ અધિકાર પંચે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે બે જિલ્લામાં 131 લોકોના મોત માટે કોણ જવાબદાર છે ? રાજ્ય સરકારને તેનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
નાગપુરની બે હોસ્પિટલનો મૃત્યુઆંક
નાગપુર સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 80 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ બે હોસ્પિટલમાં 1 થી 3 ઓક્ટોબર સુધીમાં 59 દર્દીઓના મોત થયા હતા. આ સિવાય 4 ઓક્ટોબરે NGMCH અને IGMCHમાં વધુ 21 લોકોના મોત થયા હતા. મતલબ કે અહીંની બે હોસ્પિટલમાં માત્ર ચાર દિવસમાં 80 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મોતના મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ દુર્ઘટના માત્ર નાંદેડમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ બની છે. આ એ જ સિસ્ટમ છે જેણે કોવિડ દરમિયાન સારી કામગીરી કરી હતી. તે સમયે હું મુખ્યમંત્રી હતો અને ઘણી વખત દેશમાં સારા મુખ્યમંત્રી તરીકે મારું નામ સામે આવ્યું હતું, તે સમયે તે મારું નહીં પરંતુ આ લોકોનું ગૌરવ હતું, આ લોકોએ જ કામ કર્યું હતું. પણ આજે અચાનક એવું શું થયું, એવો કેવો રોગચાળો આવી ગયો કે લોકો સતત મરી રહ્યા છે પણ કોઈ કશું બોલતું નથી. રાજ્યમાં બે આરોગ્ય મંત્રી છે પણ તેઓ ક્યાં છે?
નાગપુરમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોને મૃત્યુનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓએ પણ નાંદેડ જિલ્લા હોસ્પિટલના લોકોએ જે કારણ આપ્યું હતું તે જ કારણ આપ્યું. તે છે સરકારી હોસ્પિટલોમાં દવાઓની અછત, ગંભીર કેસોમાં ઓપરેશનમાં વિલંબ અને દર્દીઓ માટે પર્યાપ્ત પથારીનો અભાવ.
મેડિકલ કોલેજના ડીને શું કહ્યું?
નાગપુર સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. રાજ ગજભીયેનું કહેવું છે કે દર્દીઓના મોત દવાઓના અભાવે થયા નથી. હોસ્પિટલમાં બધું બરાબર છે. દવાઓ પણ છે અને વ્યવસ્થા પણ છે. શંકર રાવ ચવ્હાણ મેડિકલ કોલેજ, નાંદેડના ડીને પણ આવો જ જવાબ આપ્યો હતો. અહીં માત્ર બે દિવસમાં 31 દર્દીઓના મોત થયા છે. તેમણે હોસ્પિટલની બેદરકારીના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. હવે નાંદેડમાં મૃત્યુઆંક 31 થી વધીને 51 થયો છે.
પોલીસે FIR નોંધી
નાંદેડની હોસ્પિટલમાં શંકાસ્પદ મૃત્યુના મામલામાં ડૉ. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડિલિવરી વિભાગના ડીન અને ડૉક્ટર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIRમાં IPCની કલમ 304 અને 34 લગાવવામાં આવી છે. આ બાબતે હોસ્પિટલના ડીન ડૉ. શ્યામરાવ વાકોડેએ જણાવ્યું હતું કે મેં પણ માત્ર મીડિયામાં જોયું છે કે આવો કોઈ કેસ નોંધાયો છે. પરંતુ અત્યારે મારી પાસે આ સંબંધમાં કોઈ સત્તાવાર કાગળ ઉપલબ્ધ નથી.
Advertisement