ચોમાસાના પ્રારંભ સાથે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી બે-ત્રણ દિવસ સુધી ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, આસામ, ઉત્તરાખંડ, બિહાર, દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર સહિત ભારતના કેટલાક પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે લાંબા ગાળા પછી, નૈઋત્યનું ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે વધુને વધુ વિસ્તારોને આવરી રહ્યું હોવાનું IMDઅધિકારીએ ઉમેર્યું હતું. આ વર્ષે, નૈઋત્યનું ચોમાસુ તેની સામાન્ય નિર્ધારિત તારીખ કરતાં સાત દિવસ મોડું 8 જૂને કેરળમાં પહોંચ્યું હતું. તદુપરાંત, ભાગ્યે જ સર્જાતી એક ઘટનામાં, મુંબઈ અને દિલ્હીમાં 62 વર્ષ પછી નૈઋત્યના ચોમાસાની શરૂઆત એકસાથે થઈ હતી.
Advertisement
Advertisement
ચોમાસાને કારણે મેદાની વિસ્તારોથી લઈને પહાડો સુધી ભારે વરસાદ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના ઘણાં વિસ્તારોમાં વાદળ ફાટ્યા હતા. સોલન અને હમીરપુરમાં રવિવારે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. સિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક પશુઓ પાણીમાં વહી ગયા હતા. પૂર અને વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું હતું. વાહનોને પણ નુકસાન થયું છે.
ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. ઉત્તરાખંડ હવામાન વિભાગે નૈનીતાલ, ચંપાવત, પિથોરાગઢ, બાગેશ્વર, દેહરાદૂન, ટિહરી અને પૌરી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, હરિયાણા, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વરસાદનું એલર્ટ છે. IMDએ કહ્યું છે કે હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી પહાડો પર વાદળ ફાટવા જેવી મોટી ઘટનાઓની આગાહીને જોતાં હવામાન વિભાગે પહાડો પર વસતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. મેદાની વિસ્તારોમાં શુક્રવાર સુધી અને પહાડી વિસ્તારોમાં ગુરુવાર સુધી વરસાદની સમાન સ્થિતિ ચાલુ રહેશે. હાલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ હવામાનની સ્થિતિને લઈને એલર્ટ છે.
આસામના બારપેટામાં, સતત વરસાદને કારણે આવેલા પૂરથી લગભગ 1.70 લાખ લોકો પ્રભાવિત થયા છે. NDRF,SDRFઅને ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ આ વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહ્યા છે. અગાઉ રવિવારે, ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીના જળ સ્તરમાં નજીવો ઘટાડો થયો હતો, જેનાથી આસામમાં પૂરની સ્થિતિ થોડી હળવી થઈ હતી. વરસાદ ચાલુ રહેશે તો પાણીનું સ્તર ફરી વધશે તેવી ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.
દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું હતું કે મુંબઈ, રત્નાગીરી અને રાજ્યના અન્ય ભાગો સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે ઘણાં સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને વાહનોની અવરજવરને અસર થઈ હતી. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 31 મીમી, પૂર્વ ઉપનગરોમાં 54 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 59 મીમી વરસાદ નોંધાયો છે.
Advertisement