મેંગલુરુથી દુબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટને પક્ષી સાથે અથડાતા મોટી દુર્ઘટના ટળી છે. દુબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ મેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ (MIA)ના રનવે પર પક્ષી સાથે અથડાઈ હતી, જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
પ્રાથમિક જાણકારી અનુસાર આ ઘટના સવારે લગભગ સાડા આઠ વાગ્યે બની હતી. પક્ષી વિમાનની એક પાંખ સાથે અથડાયું, જે ઉડવા માટે તૈયાર હતું. પાયલોટે તરત જ એર ટ્રાફિક કન્ટ્રોલને જાણ કરી અને ફ્લાઈટ કેન્સલ કરી દીધી. આ ઘટના બાદ 160 મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા.
આ ઘટનાથી એરપોર્ટ પર થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો બાદમાં મુસાફરો માટે બેંગલુરુથી આવી રહેલી દુબઈની બીજી ફ્લાઈટમાં બેસી જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
હાલમાં ગ્રાઉન્ડેડ ફ્લાઈટનું ટેકનિશિયલ દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું છે. MIA અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 6E 1467 IXE-DXB એ પક્ષી સાથે અથડાઈ કારણ કે તે ટેક્સીવેથી રનવેમાં પ્રવેશ્યું હતું. પાયલોટે આ અંગે ATCને જાણ કરી હતી. તમામ મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને સંપૂર્ણ એન્જિનિયરિંગ તપાસ ચાલી રહી છે.
Advertisement