અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ વિરુદ્ધ જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. આમાં મસ્જિદ સંકુલની અંદર હાજર એક સ્ટ્રક્ચરની ઉંમર નક્કી કરવા માટે એક વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો હતો. હિન્દુઓ માને છે કે આ શિવલિંગ છે, મુસ્લિમો તેને ફુવારાનો ભાગ કહે છે.
ભારતીય મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે મસ્જિદ વ્યવસ્થાપન સમિતિ માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદી દ્વારા દાખલ કરાયેલી અરજીની તાત્કાલિક સૂચિ માટે સંમત થયા છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે ગયા અઠવાડિયે એક આદેશ આપ્યો છે. અંતિમ નિર્ણય બાકી છે. કાર્બન ડેટિંગ માટે અરજી કરવામાં આવી હતી અને પરવાનગી આપવામાં આવી છે.
સીજેઆઈએ કહ્યું કે તે 22 મેના રોજ સૂચિબદ્ધ થઈ શકે છે. અહમદીએ જણાવ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા આ દિવસે કાર્બન ડેટિંગ શરુ થવા જઈ રહી છે. આના પર ચીફ જસ્ટિસ શુક્રવારે સુનાવણી માટે મામલાની યાદી આપવા માટે સંમત થયા હતા.
અગાઉ 12 મેના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર મળેલી રચનાઓની કાર્બન ડેટિંગની માંગને નકારી કાઢતા વારાણસી જિલ્લા અદાલતના આદેશને ફગાવી દીધો હતો.
જિલ્લા ન્યાયાધીશને હિન્દુ ઉપાસકોની અરજી પર કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે વારાસણી કોર્ટના આદેશને પડકારત લક્ષ્મી દેવી અને અન્ય ત્રણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂરી આપી હતી જેણે ઓક્ટોબર 2022માં કાર્બન ડેટિંગની તેમની માંગને નકારી કાઢી હતી.
કાર્બન ડેટિંગ એ વિવિધ સ્વરુપોમાં કાર્બનની માત્રાને માપીને ખૂબ જ જૂની વસ્તુઓની ઉંમરની ગણતરી કરવાની એક પદ્ધતિ છે.
જ્ઞાનવાપી વિવાદ દાયકાઓ જૂનો છે.
ઓગસ્ટ 2021માં પાંચ મહિલાઓએ સ્થાનિક કોર્ટમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ ધરાવતા સંકુલની અંદર સ્થિત મા શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી દાખલ કરી હતી. એપ્રિલ 2022માં સ્થાનિક કોર્ટે જગ્યાના સર્વેનો આદેશ આપ્યો હતો. આનો ઉગ્ર વિરોધ થયો હતો. આખરે મે મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ હતી. અગાઉ હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે અહીં એક શિવલિંગ મળી આવ્યું છે. સમગ્ર કોર્ટે સંકુલમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે. જ્યારે મુસ્લિમ પક્ષે દલીદ કરી હતી કે જે માળખું મળ્યું તે ઔપચારિક સ્નાનનો ફુવારો હતો.
આખરે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 20 મે 2022ના રોજ આ કેસ વારાણસીના સિવિલ જજમાંથી ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જિલ્લા કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હિન્દુ મહિલાની અરજી મેન્ટેનેબલ છે. સપ્ટેમ્બર 2022માં પાંચમાંથી ચાર મહિલાઓએ આ શ્રૃંગાર ગૌરી સ્થળની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. અરજીનો વિરોધ માત્ર મસ્જિદ સમિતિએ જ નહીં પરંતુ હિંદુ અરજીકર્તાઓમાંની એક રાખી સિંહે પણ કર્યો હતો. તેણે અરજીને પબ્લિસિટી સ્ટંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે કાર્બન ડેટિંગ કરાવવાથી શિવલિંગને અપવિત્ર કરવામાં આવશે.
ઓક્ટોબર 14ના રોજ જિલ્લા કોર્ટે પરિસરને સીલ રાખવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ટાંકીને અરજીને ફગાવી દીધી હતી.
Advertisement