જમ્મુ – કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોની આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ગઈકાલે ત્રણ સુરક્ષા અધિકારીઓ શહીદ થયાના એક દિવસ બાદ, આજે એન્કાઉન્ટરના સ્થળે નવેસરથી ગોળીબાર અને વિસ્ફોટો થયા હતા. જમ્મુ – કાશ્મીર પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસે અનંતનાગ જિલ્લામાં જ્યાં એક દિવસ પહેલા થયેલી અથડામણના સ્થળે લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
ગઈકાલે બુધવારે અનંતનાગમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોણક અને કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ અથડામણ હજુ ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક જવાન ગુમ છે, એવી આશંકા છે કે તે ગંભીર રીતે ઘાયલ છે.
દરમિયાન, લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા પ્રતિબંધિત સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. પોલીસે કહ્યું છે કે અનંતનાગમાં લશ્કરના બે આતંકવાદીઓ છુપાયેલા છે, જેમને સેનાએ ઘેરી લીધા છે. એક નાગમનો અને એક કોકરનાગનો રહેવાસી ઉઝૈર ખાન છે. ઉઝૈર ગયા વર્ષે જુલાઈમાં લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. આ અગાઉ, રાજૌરીમાં સોમવારે રાત્રે શરૂ થયેલી અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે રાઈફલમેન રવિ કુમાર શહીદ થયા હતા.
કર્નલ મનપ્રીત સિંહને સેના મેડલ પ્રાપ્ત થયો હતો
શહીદ થયેલા ભારત માતાના આ ત્રણેય સપૂતોમાં જુસ્સો અને બહાદુરી હતા. કર્નલ મનપ્રીત સિંહ ભારતીય સેનામાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર હતા. તેમની બહાદુરીના કારણે તેમને સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા. મૂળ પંજાબના પંચકુલાના રહેવાસી મનપ્રીતના પરિવારમાં તેમના પત્ની, 7 વર્ષનો પુત્ર કબીર સિંહ અને અઢી વર્ષની પુત્રી વાણી છે. તેમના પત્ની સરકારી સ્કૂલમાં લેક્ચરર છે. મનપ્રીત 2003માં ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા હતા. 2005માં તેઓ પ્રમોશન દ્વારા મેજર બન્યા. તેમના પિતાએ પણ નિવૃત્તિ પછી પંજાબ યુનિવર્સિટીમાં સુરક્ષા અધિકારી તરીકે કામ કર્યું હતું.
મેજર આશિષ ત્રણ બહેનોના એકમાત્ર ભાઈ હતા
અનંતનાગ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર આશિષ ધોણક 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં મેજર હતા. મૂળ હરિયાણાના પાણીપતના આશિષ બે વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટેડ થયા હતા. આ પહેલા તેમનું પોસ્ટિંગ મેરઠમાં હતું. તેમને 2 વર્ષની દીકરી પણ છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષે તેમને સેના મેડલ પણ એનાયત થવાનો હતો. આ પહેલા જ તેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.
હુમાયુ બે મહિના પહેલા જ એક પુત્રીના પિતા બન્યા હતા
આ એન્કાઉન્ટરમાં દેશ માટે બલિદાન આપનારા શહીદ જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ્ટ પૂર્વ આઈજી ગુલામ હસન ભટ્ટના પુત્ર છે. માત્ર બે મહિના પહેલા જ તેમની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. ગોળી વાગ્યા બાદ વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આ અધિકારીઓના શહીદ થવાને કારણે દેશભરમાં ફરી એકવાર રોષનો માહોલ છે. ગુરુવારે સેનાએ અનંતનાગના વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓલઆઉટ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો છે.
Advertisement