દેશના પાટનગર દિલ્હીમાં યમુના નદીનું જળસપાટી દિવસેને દિવસે વધી રહી છે. ગુરુવારે સવારે 7 વાગ્યે નદીની જળસપાટી 208.46 મીટરની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી. તે ભયજનક સપાટીથી ત્રણ મીટર ઉપર છે. તેને લીધે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે યમુનાની જળસપાટી વધ્યા બાદ સાવચેતીના પગલારૂપે વાહનોની અવરજવર માટે ઘણાં રસ્તા બંધ કરી દીધા છે.
Advertisement
Advertisement
હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાનું ચાલુ
હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી યમુના નદીમાં પાણી છોડવાનું ચાલુ છે, જેના કારણે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રને હસ્તક્ષેપ કરીને બેરેજમાંથી પાણી છોડવાનું બંધ કરવા વિનંતી કરી હતી, પરંતુ કેન્દ્રએ કહ્યું છે કે બેરેજમાંથી વધારાનું પાણી છોડવું પડશે. દરમિયાન, સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું છે કે બપોરે 2 વાગ્યા પછી હરિયાણા બેરેજમાંથી પાણીનો પ્રવાહ ઓછો થવાની ધારણા છે.
રાજ્યપાલે DDMAની બેઠક બોલાવી
દિલ્હીમાં યમુનાની જળસપાટી વધવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. યમુના નદીના કિનારે આવેલી વસાહતોમાં કેટલાંક ફૂટ પાણી ભરાઈ ગયા છે અને લગભગ 27,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દિલ્હીમાં પૂરના ભય વચ્ચે પોલીસ અને પ્રશાસન પણ એલર્ટ છે. દરમિયાન, દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ યમુનાના વધતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠક આજે બપોરે 12 કલાકે મળશે.
સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે
દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદ પડ્યો નથી. પરંતુ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યમુના નદીની નજીકમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી કેજરીવાલે આજે પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 12 ટીમો શહેરમાં રાહત કાર્ય માટે તૈનાત છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી
શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાવાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે આજે એડવાઈઝરી જારી કરી છે. કાશ્મીરી ગેટ, રિંગ રોડ અને આઈટીઓ માર્ગ પર પણ પાણી ભરાયા છે અને પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી અને કનોટ પ્લેસ તરફ જતા અને આવતા કેટલાંક રસ્તા પણ પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત મજનુ કા ટીલાથી કાશ્મીરી ગેટને જોડતા માર્ગ પર પણ વાહનવ્યવહાર બંધ છે. આ રોડ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન અને દિલ્હી વિધાનસભાથી માંડ 500 મીટરના અંતરે છે.
Advertisement