ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં દેશોએ ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. ભારતે ઈઝરાયલમાં રહેતા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટેની પ્રથમ ફ્લાઈટ ગુરુવારે રવાના થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે આ જાણકારી આપી હતી.
Advertisement
Advertisement
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ઈઝરાયલથી પરત ફરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકાર વિદેશમાં તેના નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ભારતીય દૂતાવાસની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ઈઝરાયલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે. તેમાં હીરાના વેપારીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓની સંભાળ રાખવા માટે નિયુક્ત કરાયેલા લોકોનો સમાવેશ થાય છે. ઇઝરાયલમાં ભારતીય મૂળના લગભગ 85,000 યહૂદીઓ પણ છે, જેઓ 50 અને 60ના દાયકામાં ભારતથી ઇઝરાયલ જઈને વસી ગયા હતા.
ઇઝરાયલ પર હમાસના હુમલાના પ્રથમ દિવસે, શનિવારે, ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી. દૂતાવાસે પોતાની એડવાઈઝરીમાં કહ્યું, ‘હાલની સ્થિતિને જોતા ઈઝરાયલમાં તમામ ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ. સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સલામતીના નિયમોનું પાલન કરે. સાવચેત રહે, બિનજરૂરી હિલચાલ ટાળે અને સલામત સ્થળોની નજીક રહેવા જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી લગભગ 1200 ઇઝરાયલના નાગરિકો છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 950 પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યા છે. ગાઝા પર ઈઝરાયલના હુમલામાં સંયુક્ત રાષ્ટ્રના 9 કર્મચારીઓ પણ માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્રે આ વાતની પુષ્ટિ કરી છે.
Advertisement