દિલ્હી હાઈકોર્ટે શરાબનીતિ કૌભાંડ કેસમાં જેલમાં કેદ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. તેથી તેમને જામીન પર મુક્ત કરી શકાય નહીં. આ મામલે તેમનું વર્તન પણ સારું રહ્યું નથી. તે સાક્ષીઓને પણ અસર કરી શકે છે. તેઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેથી તેમને જામીન આપી શકાય નહીં.
Advertisement
Advertisement
દિલ્હી હાઈકોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં શરાબ નીતિના અમલીકરણમાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત એક કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. જે બાદ હવે સિસોદિયા દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે.
દિલ્હી હાઈકોર્ટે કથિત શરાબનીતિ કૌભાંડ સાથે સંકળાયેલા સીબીઆઈ કેસમાં આ ચુકાદો આપ્યો છે. AAP નેતા મનીષ સિસોદિયાએ નીચલી કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી છે. આ પહેલા સીબીઆઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ કોર્ટે 11 મેના રોજ આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
સીબીઆઈ વતી કોર્ટમાં હાજર થયેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે આ સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે. પ્રોફિટ માર્જિનને 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો કોઈ ઉલ્લેખ નથી. વ્યાજદરમાં વધારાનું કારણ ફાઈલમાં સામેલ હોવું જોઈએ. તપાસ એજન્સીએ કહ્યું કે તેઓ હોલસેલરોને આટલો નફો કેમ આપી રહ્યા છે? જેથી બદલામાં તેઓ લાંચ મેળવી શકે.
Advertisement