લાહોરઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલના દિવસોમાં મોંઘવારી તેની ટોચ પર છે. પાકિસ્તાન આર્થિક રીતે નબળું પડી ગયું છે અને તેની પાછળનું એક મોટું કારણ ભારત સાથે વેપાર ન કરવાનો તેનો નિર્ણય છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયને કારણે ત્યાંના લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાની નેતાઓનો ઘમંડ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સાથેના ખરાબ સંબંધોને કારણે ફરી વેપાર શરૂ થવાની કોઈ શક્યતા નથી.
Advertisement
Advertisement
એક મીડિયા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ભારતની હિંદુ રાષ્ટ્રવાદી સરકાર સાથે કામ કરવું શક્ય નથી. ભારતના શાસક પક્ષ અને તેના લોકોની પાકિસ્તાન સાથેના મુદ્દાઓ ઉકેલવાની કોઈ ઈચ્છા નથી. તેને બદલે તેઓ બંને દેશો વચ્ચે સમસ્યાઓ વધારવા માંગે છે. આ પ્રકારનું આક્રમક વલણ અપનાવનારી સરકાર સાથે પાકિસ્તાનના વેપાર સંબંધો ફરી શરૂ થાય તેવું મને નથી લાગતું.
પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે વધુમાં કહ્યું કે ભારતની હિંદુ રાષ્ટ્રવાદી સરકાર દેશને હિંદુ અને મુસ્લિમના નામે વિભાજિત કરી રહી છે. આ કારણસર તેની સાથે વ્યાપારી સંબંધો શરૂ કરવાની પાકિસ્તાનની કોઈ ઈચ્છા નથી. ભારત પોતાનું વલણ બદલશે તો પાકિસ્તાન ફરીથી વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે.
જોકે ભારત દ્વારા આપવામાં આવેલું નિવેદન હિના રબ્બાનીના દાવાની પોલ ખોલનારું છે. કારણ કે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું કે એપ્રિલ અને ડિસેમ્બર 2022 વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર $1.35 બિલિયન સુધી પહોંચી ગયો છે.
Advertisement