દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સરકાર આ કેસને પ્રાથમિકતા આપી રહી છે અને તમામ ભારતીયોને સજામાંથી બચાવવા માટે ઝડપી પ્રયાસો કરી રહી છે.
Advertisement
Advertisement
આ મુલાકાત બાદ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે એક ટ્વીટમાં લખ્યું, “એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે સરકાર આ બાબતને સૌથી વધુ મહત્વ આપે છે. પરિવારોની ચિંતા અને દર્દને સંપૂર્ણ રીતે વહેંચે છે. સરકાર તેમની મુક્તિ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો ચાલુ રાખશે. સરકાર આ સંબંધમાં પરિવારો સાથે નીકટતાથી સંકલન કરશે.
જ્યારે કતારમાં ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી ફાંસીની સજા પર ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું, “અમે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીએ અને અમારા કર્મીઓને રાહત મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”
બીજી તરફ આ મામલે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજ સુધી દેશને ખબર નથી કે તેમની સામે શું કેસ છે અને તેમના પર શું આરોપ છે. કેવા પ્રકારની ભારત સરકાર છે જે તેના આઠ નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓને આ રીતે મૃત્યુદંડની સજા સંભળાવવા દે છે ? વડાપ્રધાન મોદીએ કતારના કિંગ સાથે વાત કરવી જોઈએ અને આપણા 8 લોકોને પાછા લાવવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે કતારની એક અદાલતે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કતારનો આરોપ છે કે આ તમામ લોકો કતારની જાસૂસી કરીને દેશ માટે ખતરો બની ગયા છે. આ લોકોની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર જાસૂસીનો આરોપ લગાવાયો હતો. તેમના પર ઈઝરાયેલ માટે કતારના સબમરીન પ્રોજેક્ટની ગુપ્ત માહિતી ચોરી કરવાનો આરોપ છે.
Advertisement