મોરોક્કોમાં છ દાયકાના સૌથી વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 2,122 પર પહોંચી ગયો છે. સૌથી વધુ 1,293 મૃત્યુ અલ હાઉસ પ્રાંતમાં થયા છે. ભૂકંપમાં 2,059 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 1,404 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર આફ્રિકી દેશ મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે.
Advertisement
Advertisement
ભૂકંપના કારણે ઐતિહાસિક શહેર મરાકેશ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત એવા અંતરિયાળ વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ સ્થિતિમાં મૃત્યુઆંક વધુ હજુ વધે તેવી શક્યતા છે. મોરોક્કોની સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સાથે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભૂકંપથી ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા હોવાનો અંદાજ મૂક્યો છે.
હોસ્પિટલોની બહાર મૃતદેહોનો ઢગલો, કાટમાળમાં પોતાના પ્રિયજનોને શોધતાં લોકો
મોરોક્કોમાં છ દાયકાના સૌથી ભયાનક ભૂકંપ પછી, સર્વત્ર તબાહીની નિશાનીઓ વિખરાયેલી પડી છે. હોસ્પિટલોની બહાર મૃતદેહોના ઢગલા થયા છે. તે જ સમયે, વિનાશક ભૂકંપમાંથી બચી ગયેલા લોકો કાટમાળમાં તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. મોરોક્કોની સરકારે સેનાની મદદથી પીડિતોને ખાવા-પીવાની વસ્તુઓ પહોંચાડવાની જાહેરાત કરી છે. રાજા મોહમ્મદ ચોથા ના નિર્દેશ પર સેના કાટમાળમાંથી લોકોને બચાવવા માટે વિશેષ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ગ્રામીણ વિસ્તારોમાં માટીના મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા
મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં માટીના મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. કાટમાળના કારણે સાંકડા રસ્તાઓ બંધ થઈ ગયા છે. એક હોસ્પિટલની બહાર લગભગ 10 મૃતદેહો પડેલા છે અને સંબંધીઓ તેમની નજીક ઊભા છે, જેઓ અંતિમ સંસ્કારની વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે. મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, 1960માં દેશમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં 12,000 લોકો માર્યા ગયા હતા.
શક્ય તમામ મદદની ભારત, અમેરિકા અને ઈઝરાયેલની ખાતરી
ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેન્ટે તેમના મોરોક્કન સમકક્ષ સાથે ફોન પર વાત કરીને ભૂકંપગ્રસ્ત દેશને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગેલેન્ટે ઇઝરાયેલી દળોને મોરોક્કોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ વિનાશક ભૂકંપ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મોરોક્કોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
Advertisement