ભારતનું ચંદ્રયાન મિશન અત્યાર સુધી તેના નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યું છે. ગુરુવારે, પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રયાન-3 મિશનથી અલગ કરવામાં આવ્યું હતું. હવે પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી, ચંદ્રયાન-3 મિશનનું વિક્રમ લેન્ડર ચંદ્રની નીચલી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. ત્યાંથી ચંદ્રની સપાટીનું અંતર માત્ર થોડાક કિલોમીટર જ રહી જશે.
Advertisement
Advertisement
દરમિયાન, ઈસરોએ માહિતી આપી હતી કે લેન્ડર મોડ્યુલ (LM) સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો સમાવેશ કરતા લેન્ડર મોડ્યુલે સફળતાપૂર્વક ડીબૂસ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું છે. આ પછી, તેની ભ્રમણકક્ષા હવે ઘટીને 113 કિમી x 157 કિમી સુધી થઈ ગઈ છે. બીજું ડીબૂસ્ટિંગ ઓપરેશન 20 ઓગસ્ટ 2023ના રોજ બપોરે લગભગ બે વાગ્યે કરવામાં આવશે.
ડીબૂસ્ટિંગ પ્રક્રિયા શરૂ થઈ
ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, લેન્ડર મોડ્યુલ મેનુવર આજે સાંજે લગભગ ચાર વાગ્યે કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા હેઠળ, લેન્ડર વિક્રમની ગતિ ધીમી કરીને, તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં નીચે લાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા 20 ઓગસ્ટે પણ કરવામાં આવશે. ત્યારબાદ વિક્રમ લેન્ડરનું અંતર ચંદ્રની સપાટીથી માત્ર 30 કિલોમીટર જ રહેશે. ત્યારબાદ 23 ઓગસ્ટે, સાંજે લગભગ 5.47 વાગ્યે, ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવશે. વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સોફ્ટ લેન્ડ થતાંની સાથે જ ઈસરો ઈતિહાસ રચશે. આ સાથે જ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનારા ખૂબ ઓછાં દેશોમાં ભારત પણ જોડાઈ જશે.
14 દિવસ સુધી ચંદ્રયાન – 3 પ્રયોગો કરશે
તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ સામેલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. બીજી તરફ, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રની સપાટી પરથી આવતા રેડિયેશન્સનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર પાણીની શોધખોળ કરશે અને ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તેની પણ જાણકારી મેળવશે.
આ રીતે ચંદ્ર નજીક પહોંચ્યું
14 જુલાઈએ શ્રીહરિકોટાથી ઉપડ્યા પછી, ચંદ્રયાન-3 ત્રણ અઠવાડિયામાં ઘણાં તબક્કાઓમાંથી પસાર થયું. 5 ઓગસ્ટે તે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. આ પછી ચંદ્રયાન-3 ગઈ 6, 9 અને 14 ઓગસ્ટના રોજ અલગ-અલગ તબક્કામાં પ્રવેશ્યું હતું. આ ત્રણ અઠવાડિયામાં ઈસરોએ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક પૃથ્વીથી દૂર ભ્રમણકક્ષામાં મૂક્યું હતું.
Advertisement