ભારતનું ચંદ્રયાન-3 મિશન બુધવારે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ કહ્યું કે ચંદ્રયાન-3 અવકાશયાને ચંદ્રની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીકની કક્ષામાં પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈએ લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી હતી અને 5 ઓગસ્ટના રોજ સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું.
Advertisement
Advertisement
ઈસરોએ એક ટ્વીટમાં જણાવ્યું હતું, “ચંદ્રયાન-3 હવે ચંદ્રની સપાટીની વધુ નજીક છે. ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટાડવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તેનું અંતર 174 કિમી * 1437 કિમી રહી ગયું છે.” ઈસરોએ કહ્યું કે હવે યાનનું ચંદ્ર ભ્રમણકક્ષા બદલવા સંબંધિત કામગીરી 14 ઓગસ્ટના રોજ 11.30 થી 12.30 વચ્ચે થશે. જેમ જેમ મિશન આગળ વધી રહ્યું છે તેમ, ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં વધુ નીચે ઉતારવાની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી રહી છે, જેથી તેને ચંદ્રના ધ્રુવ પર પહોંચાડી શકાય.
સેન્સર અને એન્જિન બંધ થાય તો પણ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરવા સક્ષમ
ચંદ્રયાન-3 ભારતના સૌથી મહત્વાકાંક્ષી મિશનોમાંથી એક છે. હવે આ મિશનમાં જેવી અપેક્ષા રાખવામાં આવી હતી તે મુજબના પરિણામો જોવા મળી રહ્યા છે. આ અંગે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે જણાવ્યું હતું કે ભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના તમામ સેન્સર અને બે એન્જિન કામ કરતાં બંધ થઈ જશે તો પણ લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે સક્ષમ રહેશે.
આ દરમિયાન એસ સોમનાથે ઉમેર્યું હતું કે લેન્ડર વિક્રમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે નિષ્ફળતાનો સામનો કરવામાં સક્ષમ છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રોપલ્શન સિસ્ટમ સારી રીતે કાર્ય કરતી હોય તો બીજું બધું કામ કરતું બંધ થઈ જાય, બધા સેન્સર નિષ્ફળ થઈ જાય, કશું જ કામ ન કરતું હોય તો પણ વિક્રમ લેન્ડિંગ કરશે. તે રીતે તેની રચના કરવામાં આવી છે.
Advertisement