સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવા સામેની અરજીઓ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી મોટું નિવેદન આવ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ચૂંટણી બાકી છે. પ્રથમ ત્રિ-સ્તરીય પંચાયતી રાજ પ્રણાલી દાખલ થતાંની સાથે જ પંચાયતોની પ્રથમ ચૂંટણીઓ યોજાશે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાંથી કલમ 370 નાબૂદ કરી દેવાઈ ત્યારથી આતંકવાદી ઘટનાઓમાં 45 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીમાં પણ ઘટાડો થયો છે. સુરક્ષા દળોને થતું નુકસાન 60 ટકા ઘટ્યું હોવાનું પણ તેમણે કોર્ટને જણાવ્યું હતું.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે લેહ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને કારગિલની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાવાની છે.
રાજ્યનો દરજ્જો આપવાની સમયમર્યાદા સ્પષ્ટ નહીં
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે સમયરેખા સ્પષ્ટ કરી શકતું નથી. જો કે, કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કામચલાઉ છે અને તેને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે તે હજુ સ્પષ્ટ નથી. આમાં થોડો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. કલમ 370 હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રમાં સુધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જાને રદ કરવાના કેન્દ્રના પગલાંની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. કેન્દ્રના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 20 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવેલી છે. અગાઉ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે જમ્મુ – કાશ્મીરના સમગ્ર પ્રદેશમાં “અભૂતપૂર્વ” શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ જોવા મળી છે.
Advertisement