દિલ્હી: નોકરી માટે જમીન કૌભાંડમાં CBIએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને કંપનીઓ સહિત અન્ય ઘણાં લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને અન્ય કેટલાંક લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
CBIએ કોર્ટને શું કહ્યું?
સીબીઆઈએ કોર્ટને કહ્યું છે કે આ કૌભાંડ કેસમાં ચાર્જશીટ અગાઉ જ દાખલ થઈ ચૂકી છે. જોકે, આ એક અલગ કેસ હોવાથી નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમાં અલગ રીતે કથિત કૌભાંડ આચરવામાં આવ્યું છે. લાલુ પ્રસાદ યાદવ 2004-09 દરમિયાન યુપીએ-1 સરકારમાં રેલવે મંત્રી હતા તે સમયનો આ કેસ છે. એવો આરોપ છે કે તે સમયે ભારતીય રેલવેના જુદા જુદા ઝોનમાં ગ્રુપ-ડીની પોસ્ટ પર લોકોની નિમણૂક કરવામાં આવી હતી અને નોકરીના બદલામાં તેમની જમીનો યાદવ પરિવારના સભ્યો અને લાભાર્થી કંપની ‘એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ’ને ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
શું છે નોકરીના બદલામાં જમીન કૌભાંડનો મામલો
સીબીઆઈનું કહેવું છે કે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે નોકરીના બદલામાં જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપ છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે પટણાના 12 લોકોને ખાનગી રીતે ગ્રુપ ડીની નોકરીઓ આપી હતી અને તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. તેમના પરિવારના સભ્યોએ પટણામાં જમીનનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સીબીઆઈનો દાવો છે કે આ પ્લોટ લાલુ યાદવની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને હેમા યાદવના નામે નોંધાયેલા હતા અને જમીનની નજીવી કિંમત રોકડમાં ચૂકવવામાં આવી હતી. એટલું જ નહીં અરજીના ત્રણ દિવસની અંદર જ નોકરી પણ આપી દેવામાં આવી હતી.
આરજેડીએ તેને રાજકીય લડાઈ ગણાવી
શનિવાર, 11 માર્ચ, 2023ના રોજ, EDએ લાલુ યાદવ અને તેમના પરિવારના દિલ્હી-NCR,પટણા, મુંબઈ અને રાંચીમાં 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા નોકરી માટે જમીન એટલે કે જમીનના બદલામાં રેલવેમાં નોકરીના મામલામાં પાડવામાં આવ્યા હતા. કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં EDના સૂત્રોના હવાલાથી જણાવાયું હતું કે દરોડા દરમિયાન 600 કરોડ રૂપિયાના વ્યવહારો બહાર આવ્યા હતા. પરંતુ આરજેડીએ દરોડામાં રિકવરી અંગેના મીડિયા અહેવાલોને ખોટાં ગણાવ્યા હતા. તેમણે તેને રાજકીય લડાઈ ગણાવી અને કહ્યું હતું કે આગામી દિવસોમાં ઘણી બાબતો જાહેર કરવામાં આવશે.
Advertisement