બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા થયેલી હિંસા વચ્ચે કલકત્તા હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ચૂંટણી સંબંધિત હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં આ કેસની સુનાવણી કરતાં કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી છે. બંગાળમાં ચાલુ રહેલી હિંસાને લઈને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને CPIMએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે ઉમેદવારોની યાદીમાંથી કેટલાક ઉમેદવારોના નામ ગાયબ છે. આ કેસની સુનાવણી કરતાં હાઈકોર્ટે હવે હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા અંગે નારાજગી વ્યક્ત કરતા જસ્ટિસ અમૃતા સિંહાએ કહ્યું કે ચૂંટણીમાં આટલી હિંસા જોવા મળી છે. જો આવી લોહિયાળ હિંસા ચાલુ રહે તો ચૂંટણી અટકાવી દેવી જોઈએ. આ ઉપરાંત, તેમણે કહ્યું કે આવી હિંસા રાજ્ય માટે શરમજનક બાબત છે. આટલી અરાજકતા કેમ, રાજ્ય ચૂંટણી પંચ શું કરી રહ્યું છે ? હાઈકોર્ટ પહેલા સુપ્રીમ કોર્ટે પણ બંગાળ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા પર કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે.
ચૂંટણી હિંસા માટેનું લાઈસન્સ નથી.
હાઈકોર્ટ પહેલા સુપ્રીમ કોર્ટે પણ બંગાળ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાની કડક શબ્દોમાં ટિકા કરી ચૂકી છે. હકીકતે, કલકત્તા હાઈકોર્ટે 15મી જૂને આદેશ આપ્યો હતો કે પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોને ફરજ પર તૈનાત કરવામાં આવે. હાઈકોર્ટના આ આદેશ વિરુદ્ધ બંગાળ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દઈને મમતા સરકાર અને રાજ્ય ચૂંટણી પંચને મોટો આંચકો આપ્યો હતો.
ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય રાજ્યમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય એ સુનિશ્ચિત કરવાનો છે કારણ કે તમામ બેઠકો માટે એક જ દિવસે ચૂંટણી યોજાઈ રહી છે. આ સંજોગોમાં, અમને જણાયું છે કે હાઈકોર્ટના આદેશમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી યોજવી એ હિંસા આચરવાનું લાયસન્સ નથી. નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી એ લોકશાહીની પાયાની ઓળખ છે. હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવી જોઈએ.
Advertisement