મહારાષ્ટ્રના બુલઢાણામાં નાગપુરથી પુણે જઈ રહેલી બસ ગમખ્વાર અકસ્માતનો ભોગ બની ગઈ હતી. બસ ઉથલી જતાં તેમાં લાગેલી આગમાં 25 લોકોનું આગમાં મૃત્યુ થયું હતું. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ બસ સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બુલઢાણાની નજીક હતી ત્યારે શુક્રવારે મોડીરાત્રે લગભગ 2 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં સવાર મોટાભાગના પ્રવાસીઓ ભરનિંદ્રામાં હતા.
Advertisement
Advertisement
બુલઢાણા પોલીસના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિના જણાવ્યા અનુસાર બસમાં 33 લોકો સવાર હતા. તેમાંથી 25 લોકોનું આગમાં મૃત્યુ થયું હતું. જ્યારે, અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, બુલઢાણા જિલ્લા કલેકટરે કહ્યું કે મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ તમામ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
બસનું ટાયર ફાટ્યું હોવાનો ડ્રાઇવરનો દાવો
આ ભીષણ અકસ્માતમાં છથી આઠ લોકો ઘાયલ થયા છે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે ટાયર ફાટ્યા બાદ બસ ઉથલી પડી હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી.
અહેવાલો અનુસાર, ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે પહેલા તો બસ નાગપુરથી ઔરંગાબાદ જતા માર્ગ પર એક લોખંડના થાંભલા સાથે અથડાઈ હતી. બાદમાં ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા બસ રોડની વચ્ચે કોંક્રીટ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ઉથલી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ એમ પણ જણાવ્યું કે બસ ડાબી તરફ ઉથલી પડતાં બસનો દરવાજો નીચેના ભાગે આવી ગયો. આ સ્થિતિમાં તેમાં સવાર લોકો બસમાંથી બહાર નીકળી શક્યા ન હતા. એમ પણ કહેવાય છે કે અકસ્માત દરમિયાન બસમાંથી ડીઝલ રોડ પર ફેલાઈ ગયું હતું. ડીઝલ છલકાવાને કારણે બસમાં આગ લાગી હતી.
પીએમ મોદી-અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે વળતરની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કર્યું,”મહારાષ્ટ્રના બુલઢાણામાં થયેલી બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.” બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને રૂ.2 લાખ અને ઘાયલોને PMNRFતરફથી 50,000 રૂપિયા આપવામાં આવશે.”
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ શોક વ્યક્ત કરતાં કહ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં થયેલો માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે. ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.
મહારાષ્ટ્રના સીએમ-ડેપ્યુટી સીએમ ઘટનાસ્થળની મુલાકાત લેશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટના પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે.
Advertisement