જમ્મુ-કાશ્મીરમાં BSFને મોટી સફળતા મળી છે. બીએસએફના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. BSFના સતર્ક જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. આ પહેલા પણ સુરક્ષા દળોએ એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને આ રીતે જ નિષ્ફળ બનાવ્યો હતો.
Advertisement
Advertisement
જવાનોએ ઘૂસણખોરોને રોકવાનો પ્રયાસ કર્યો
અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની મૂળની દવાઓ સહિત મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના ઇનપુટ્સથી જાણવા મળ્યું હતું કે કેટલાંક ઘૂસણખોરો એલઓસીની સામેની પારથી બાલાકોટ સેક્ટરમાં પ્રવેશવાની ફિરાકમાં છે. ઇનપુટ્સના આધારે મોનિટરિંગ ગ્રીડને એલર્ટ કરવામાં આવી હતી. ઘૂસણખોરો જેવા સરહદની નજીક પહોંચ્યા કે તરત જ જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ જ્યારે રોકાયા નહીં તો તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. આ ફાયરિંગમાં બંને ઘુસણખોરો માર્યા ગયા હતા.
હથિયારોનો મોટો જથ્થો મળ્યો
માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. સેનાના જવાનોએ એક એકે 47 રાઈફલ, બે મેગઝીન, 30 રાઉન્ડ, બે ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની દવાઓ જપ્ત કરી છે.
ગઈકાલે બે આતંકવાદીઓને ઠાર મરાયા
ગઈકાલે, જમ્મુ – કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજા આતંકવાદીને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ગામમાં એક – બે આતંકવાદીઓ છુપાયા છે. આ પછી સેનાએ મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું, પરંતુ આ દરમિયાન આતંકીઓએ બચવા માટે સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો. જોકે, સફળતા ન મળતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.
Advertisement