દિલ્હી: ભારતની મુલાકાતે આવેલા ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસને દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. ત્યારબાદ પીએમ મોદી અને ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિની હાજરીમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ બંને દેશો માટે ઐતિહાસિક દિવસ છે.
Advertisement
Advertisement
ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ડૉ. સામિયા સુલુહુ હસન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું. ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ મુલાકાત છે પરંતુ તેઓ લાંબા સમયથી ભારત અને ભારતના લોકો સાથે જોડાયેલા છે. G20માં કાયમી સભ્ય તરીકે આફ્રિકન યુનિયન જોડાયા પછી પ્રથમ વખત અમને ભારતમાં કોઈક આફ્રિકન દેશના વડાને આવકારવાની તક મળી છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત અને ટાન્ઝાનિયા પરસ્પર વેપાર અને રોકાણ માટે એકબીજાના મહત્વપૂર્ણ ભાગીદારો છે. ભારતે ICT કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ, સંરક્ષણ તાલીમ, ITEC અને ICCR શિષ્યવૃત્તિઓ દ્વારા ટાન્ઝાનિયાના કૌશલ્ય વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પાણી પુરવઠા, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કર્યું છે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે IIT મદ્રાસ દ્વારા ઝાંઝીબારમાં સેન્ટર ખોલવાની જાહેરાત આપણા સંબંધો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
પીએમ મોદીએ ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ડૉ. સામિયા સુલુહુ હસન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં કહ્યું કે ભારત અને ટાન્ઝાનિયા એ બાબતે એકમત છે કે આતંકવાદ એ માનવતા માટે સૌથી ગંભીર ખતરો છે. આ સંદર્ભે, અમે આતંકવાદ વિરોધી ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવાનો પણ નિર્ણય કર્યો છે.
Advertisement