પટણાઃ બિહારના ભાગલપુર અને ખગરિયાને જોડતો નિર્માણાધીન પુલ તૂટી પડતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક લોકોએ બ્રિજ તૂટી પડવાનો વીડિયો બનાવ્યો હતો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રૂ.1700 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજનો એક ભાગ રવિવારે સાંજે અચાનક તૂટી પડતાં રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. ભાજપ હવે આ મામલાને લઈને સીએમ નીતિશ પર આક્રમક બની ગઈ છે.
Advertisement
Advertisement
ભાજપના નેતાઓએ નીતિશ સરકાર પર સાધ્યું નિશાન
બિહારના વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ ભાગલપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડવાને લઈને નીતિશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે દાનતમાં ખોટ હોય તો નીતિ કેવી રીતે સફળ થાય. એક સમયે આ પુલ સુલતાનગંજ તરફ પડયો હતો અને આજે તે ખગરીયા તરફ પડ્યો છે. પૂર્ણિયામાં પણ અનેક પુલ તૂટી પડ્યા છે, બિહારમાં આ કમિશનખોરીની પ્રથામાં ગુણવત્તા વિનાનું કામ ચરમસીમાએ છે. જેની તસ્વીર નજરે પડે છે.
બિહારના ભાગલપુરમાં નિર્માણાધીન અગુવાની-સુલતાનગંજ પુલ તૂટી પડ્યો છે. સ્થાનિક લોકોએ પુલ તૂટી પડવાની ઘટનાનો વીડિયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પુલ ધરાશાયી થયો હોય તેવું આ પહેલીવાર બન્યું નથી. આ બાબતે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું કે પુલ તૂટી પડવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ પુલ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે, તેની તપાસ થવી જોઈએ. બિહાર સરકારે ધૃતરાષ્ટ્રની જેમ આંખો બંધ ન કરવી જોઈએ, તમામ પુલોની સુરક્ષાની તપાસ કરાવવી જોઈએ.
ગત વર્ષે પણ પુલનું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગયું
ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં બની રહેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે. તેને રૂ. 1750 કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 27 એપ્રિલે પણ આ નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર નદીમાં તૂટી પડ્યું હતું. ભારે તોફાન અને વરસાદને કારણે લગભગ 100 ફૂટ લાંબો હિસ્સો જમીન પર તૂટી પડ્યો હતો. જો કે તે સમયે કોઈ જાનહાનિ થઈ ન હતી, ત્યારબાદ પુલ બનાવવાની કામગીરી ફરી શરૂ થઈ હતી. આ વખતે સુપર સ્ટ્રક્ચરનું કામ લગભગ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. એટલું જ નહીં, એપ્રોચ રોડનું કામ પણ 45 ટકા પૂર્ણ થઈ ગયું છે.
Advertisement