દેશની વધુ એક એરલાઈન્સ કંપની નાદારીની આરે પહોંચી ગઈ છે. વાડિયા ગ્રુપની એરલાઇન ગો ફર્સ્ટે મંગળવારે NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ દરમિયાન ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ ત્રણ દિવસ એટલે કે ત્રણ, ચાર અને પાંચ મે 2023ના રોજ રદ કરવામાં આવી છે.
ગો-ફર્સ્ટ એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે. આવી સ્થિતિમાં જે મુસાફરોએ આ ત્રણ દિવસ માટે કંપનીની ટિકિટ બુક કરાવી છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર મુશ્કેલીમાં મુકાયેલી GoFirst એરલાઇનને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘સરકાર ગો ફર્સ્ટને તમામ સંભવ મદદ કરી રહી છે, અને સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.’
રિપોર્ટ અનુસાર ગો ફર્સ્ટ એરલાઈન્સ લાંબા સમયથી નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓની બાકી રકમ ચૂકવવામાં અસમર્થતાના કારણે એરલાઈન્સે આ મોટો નિર્ણય લીધો છે. આર્થિક સંકટમાં ઘેરાયેલી એરલાઇન કંપની માટે એન્જિન બનાવતી અમેરિકન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીએ સપ્લાય બંધ કરી દીધી છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.રિપોર્ટ અનુસાર એરલાઈન્સના લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે.
પ્રમોટરોએ છેલ્લા ત્રણ વર્ષમાં એરલાઇનમાં રૂ. 3,200 કરોડનું રોકાણ કર્યું છે. તેમાંથી છેલ્લા 24 મહિનામાં રૂ. 2,400 કરોડનું રોકાણ થયું છે. આ વર્ષે એપ્રિલમાં રૂ. 290 કરોડની અન્ય રકમ નાખવામાં આવી હતી. માલિકોએ શરૂઆતથી અત્યાર સુધીમાં રૂ. 6,500 કરોડનું રોકાણ કર્યું છે.
કંપનીએ 2005માં બે લીઝ્ડ એરક્રાફ્ટથી શરૂઆત કરી હતી.
વાડિયા જૂથની કંપની મૂડી એકત્ર કરવા માટે રોકાણકારો સાથે લાંબા સમયથી વાત કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આઈપીઓ લાવવા માટે સેબીને ડ્રાફ્ટ પણ સબમિટ કરવામાં આવ્યો છે. GoFirst એરલાઇન 2005 માં જેહ વાડિયા દ્વારા કોઈપણ વિસ્તૃત યોજના વિના શરૂ કરવામાં આવી હતી અને તે સમયે બે એરક્રાફ્ટ લીઝ પર હતા.
Advertisement