હરિયાણાના નૂહમાં એક શોભાયાત્રા પર હુમલા બાદ ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. વ્યવસ્થા જાળવવા માટે, નૂહમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે અને તોફાનીઓને દેખતાં જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. હિંસા બાદ દેશના વિવિધ ભાગોમાં વિરોધ દેખાવો થઈ રહ્યા છે અને રાજકીય પક્ષો તરફથી પણ સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરમિયાન દિલ્હીમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Advertisement
Advertisement
હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા સામે બજરંગ દળના કાર્યકરોએ દિલ્હીના ઘોંડા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા છે. VHPએ હરિયાણાના નૂહમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણો સામે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. પરિસ્થિતિને જોતાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. બોર્ડર પર બેરિકેડ લગાવીને વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે દિલ્હીની સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા
નોઈડાના સેક્ટર 25માં સ્ટેડિયમ નજીકથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન ડીએમની ઓફિસ સેક્ટર 27 સુધી પહોંચ્યું હતું. આ દેખાવોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરેટ ગૌતમ બુદ્ધ નગર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રદર્શન દરમિયાન અનેક જગ્યાએ ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ માહિતી બહાર આવી રહી છે કે બજરંગ દળ અને VHPના કાર્યકરોએ દિલ્હી-ફરીદાબાદ રોડ બ્લોક કરી દીધો છે. હરિયાણામાં વણસતી પરિસ્થિતિને જોતાં દિલ્હીમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Advertisement