એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે રમાનારી એશિયા કપની સુપર-4 મેચ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. રવિવારે રમાનારી મેચમાં વરસાદથી વિક્ષેપ પડશે તો મેચ રિઝર્વ ડે પર પૂર્ણ થશે. અગાઉ એશિયા કપમાં તમામ નિયમોમાં રિઝર્વ ડેનો એક પણ નિયમ ન હતો. ACCએ શુક્રવારે (8 સપ્ટેમ્બર) બંને ટીમો વચ્ચેની મેચ માટે આ નિયમ ઉમેર્યો છે.
Advertisement
Advertisement
એશિયા કપની વર્તમાન આવૃત્તિમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રમાશે. 2 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ રાઉન્ડમાં બંને ટીમો વચ્ચે મુકાબલો થયો હતો. પરંતુ, વરસાદના કારણે તે મેચ રદ્દ થઈ ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મેચ એકમાત્ર સુપર-4 મેચ છે જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4 રાઉન્ડની અન્ય કોઈપણ મેચ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય 17 સપ્ટેમ્બરે યોજાનારી ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
કોલંબોમાં મેચ દરમિયાન વરસાદની શક્યતા
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. કોલંબોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. એટલે સુધી કે કોલંબો પાસેથી મેચોની યજમાની પાછી ખેંચી લેવાની પણ વાત થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે મેચો હમ્બનટોટા અથવા દામ્બુલામાં શિફ્ટ કરવામાં આવશે. પરંતુ, એવું થયું નહીં. હવે એશિયા કપની બાકીની તમામ મેચો અહીં રમાશે.
હવામાનની આગાહી શું છે?
Accuweather વેબસાઈટ અનુસાર, મેચના દિવસે વરસાદની સંભાવના 90 ટકા છે. રાત્રે આંધી – તોફાનની પણ શક્યતા છે. દિવસ કરતાં રાત્રે વરસાદ વધુ ભારે પડી શકે છે. તેની શક્યતા 96 ટકા જેટલી છે. રાત્રે વાદળછાયું આકાશ રહેવાની અપેક્ષા 98 ટકા છે. Weather.com એ પણ વરસાદની સંભાવના 90 ટકા સુધી હોવાનું કહ્યું છે.
મેચ રદ થશે તો શું થશે?
રવિવારે કોલંબોમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થશે તો રિઝર્વ ડેએ મેચ રમાશે. રિઝર્વ ડેએ પણ મેચનું કોઈ પરિણામ ન આવે તો બંને ટીમોએ એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડશે.
Advertisement