અલ્હાબાદ હાઈકોર્ટે ગઈકાલે જ્ઞાનવાપીમાં ASI સર્વેની પરવાનગી આપી દીધી હતી, ત્યારબાદ ASIએ ફરી સર્વે શરૂ કર્યો છે. તેના પગલે વારાણસીમાં હાઈ એલર્ટ છે અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષે ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટ આજે જ આ મામલે સુનાવણી કરશે.
Advertisement
Advertisement
સુરક્ષા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ
ASI ટીમે વારાણસીમાં જ્ઞાનવાપી સ્થિત સીલ વજુખાના સિવાયના બાકીના ભાગોનું સર્વેક્ષણ ફરી શરૂ કરી દીધું છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જિલ્લા અને પોલીસ પ્રશાસને ગઈકાલે એએસઆઈના સહયોગ અને સુરક્ષા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી હતી. જ્ઞાનવાપીમાં સર્વેને જોતાં જિલ્લાની પોલીસ અને વહીવટી વિભાગ હાઈ એલર્ટ પર છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમે કહ્યું કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. સર્વેમાં ASI ટીમને શક્ય તમામ સહકાર આપવામાં આવશે.
હિન્દુ પક્ષના વકીલ સર્વે સ્થળ પર હાજર
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો સર્વે કરવા પહોંચી હતી. આ સમયે, જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ કહ્યું, “ગઈકાલે અલ્હાબાદ હાઈકોર્ટે એએસઆઈને સર્વે કરવાની મંજૂરી આપી હતી. ASI અને જિલ્લા વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અમે પણ ત્યાં જઈએ છીએ. આ સર્વે ઈતિહાસ રચવાની દિશામાં એક પગલું છે. બીજી તરફ હિંદુ પક્ષના બીજા વકીલ સુધીર ત્રિપાઠીએ કહ્યું હતું કે, સર્વે પૂર્ણ કરવામાં કેટલા દિવસો લાગશે તે માત્ર એએસઆઈ જ કહી શકે. અયોધ્યામાં રામ મંદિરનો સર્વે પૂર્ણ કરવામાં 7-8 મહિનાનો સમય લાગ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
જ્ઞાનવાપી સંકુલના સર્વેની મંજૂરી આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ આ અંગે સુનાવણી કરશે. ગઈકાલે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાના કલાકો પછી, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના વકીલ નિઝામ પાશાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ મામલો ઉઠાવ્યો અને સર્વે પર સ્ટે મૂકવાની માંગ કરતાં તત્કાળ સુનાવણીની વિનંતી કરી હતી. હિંદુ પક્ષે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને તેમની રજૂઆત સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર ન કરવા વિનંતી કરી છે.
Advertisement