તમામ પ્રયાસો કરવા છતાં મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે રાત્રે પણ બે જગ્યાએ ગોળીબાર થયો હતો, તેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. ફાયરિંગની પ્રથમ ઘટના ફલાંગ ગામમાં જ્યારે બીજી ઘટના કાંગપોકલીના થંગબુહ ગામમાં બની હતી. મૃતકોમાંથી એકની ઓળખ 34 વર્ષીય જંગખોલમ હાઓકીપ તરીકે થઈ છે. આ સિવાય આદિવાસી એકતા સમિતિએ નેશનલ હાઈવે-2ને 72 કલાક માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
મણિપુરમાં તાજેતરની હિંસક ઘટનાઓ સામે આદિવાસી એકતા સમિતિએ બંધનું એલાન આપ્યું છે. COTUના જનરલ સેક્રેટરી લેમીનલુન સિંગસિટે જણાવ્યું હતું કે 16 જુલાઈની મધરાતથી શટડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અવારનવાર થતા હુમલા અને હત્યાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નિર્દોષ કુકી સમુદાયના લોકોની હત્યા કરવામાં આવી છે. તેમનો આરોપ છે કે મ્યાનમારથી ઘૂસણખોરી કરીને ઉગ્રવાદીઓ સાથે મળીને હુમલા કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે શનિવારે પણ હિંસા થઈ હતી જેમાં એક આધેડ મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઈમ્ફાલ ઈસ્ટમાં ગોળીબારની ઘટનામાં તેનું મોત થયું હતું. મહિલાની હત્યા કર્યા બાદ હુમલાખોરોએ તેનું મોઢું કચડી નાખ્યું હતું. રવિવારે મણિપુર યુનાઇટેડ નાગા કાઉન્સિલે નાગા વિસ્તારોમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું હતું. મણિપુરમાં છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સતત શાંતિની અપીલ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો મેળવવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ. આતંકવાદીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્રનાં ઘણા મંત્રીઓના ઘરોને પણ આગ લગાવી દીધી છે. પરિસ્થિતિને સંભાળવા માટે સેના તૈનાત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી. સરકાર દાવો કરી રહી છે કે સમયની સાથે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે, પરંતુ આ દરમિયાન આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણના અહેવાલો છે.
Advertisement