ઈઝરાયલ પર હમાસે શરૂ કરેલા હુમલાને હવે દસ દિવસ થઈ ગયા છે. આ હુમલાને કારણે ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 1400 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ગાઝા પટ્ટી પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા વળતા હુમલામાં મૃત્યુઆંક હવે 2500ની નજીક પહોંચી ગયો છે. આમ ઈઝરાયલ-હમાસ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 3900 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, હાલ તો ઈઝરાયલ દ્વારા ગાઝા પર માત્ર હવાઈ હુમલા કરવામાં જ આવ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની સેના ટૂંક સમયમાં જ દરિયાઈ અને જમીની માર્ગોથી પણ ગાઝા પર હુમલો કરે તેવી શક્યતા છે. આ હુમલાના ડરથી હજારો લોકો પોતાના ઘર છોડીને દક્ષિણ તરફ ભાગી રહ્યા છે.
Advertisement
Advertisement
આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયલને સતર્ક રહેવા અને ગાઝામાં કોઈપણ પ્રકારે કબજો મેળવવાને ખોટો ગણાવ્યો છે. જો બાઈડને કહ્યું, ‘મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે. મારા મતે, ગાઝામાં જે બન્યું તે હમાસ દ્વારા થયું હતું અને હમાસ તમામ પેલેસ્ટિનિયનોનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે કહ્યું કે ઈઝરાયલે ગાઝા પટ્ટીને વધુ સમય સુધી પોતાના નિયંત્રણમાં ન રાખવી જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે ઈઝરાયલ યુદ્ધના નિયમો અનુસાર જ કામ કરશે. ઈઝરાયલ નિર્દોષ નાગરિકોને દવાઓ, પાણી અને ખોરાક પહોંચાડશે.
ફ્લોરિડાના ગવર્નરઃ પેલેસ્ટાઈનના શરણાર્થીઓને સ્વીકારવા ન જોઈએ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ફ્લોરિડાના ગવર્નર રોન ડી સેન્ટિસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમેરિકાએ ગાઝાથી ભાગી રહેલા પેલેસ્ટાઈનના શરણાર્થીઓને સ્વીકારવા જોઈએ નહીં. ઉત્તરી ગાઝા, જે હમાસના નિયંત્રણ હેઠળ છે, તેના પર ઇઝરાયલ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરે તેવી શકયતા છે તેવા સમયે તેમની આ ટિપ્પણી આવી છે.
યુએન સેક્રેટરી જનરલઃ કોઈપણ શરત વિના હમાસ તાત્કાલિક બંધકોને મુક્ત કરે
હમાસ અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિસ્થિતિ સતત વણસી રહી છે. ઈઝરાયલ દાવો કરી રહ્યું છે કે હમાસે ઘણા લોકોને બંધક બનાવ્યા છે. આવી સ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હમાસને કોઈપણ શરત વિના બંધકોને તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું છે.
Advertisement