પૃથ્વી પર અત્યારે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે પૃથ્વીથી લગભગ 100 પ્રકાશ વર્ષના અતિ દૂરના અંતરે આવેલા 31 સુપરનોવા (સૂર્યના કુલ દળ કરતા 10 ઘણા મહાકાય તારાનું મૃત્યુ થાય અને જે કલ્પનાતીત વિસ્ફોટ થાય તે પ્રક્રિયાને ખગોળશાસ્ત્રની ભાષામાં સુપરનોવા કહેવાય છે.)ના મહાવિસ્ફોટમાંથી બહાર ફેંકાતા જીવલેણ એક્સ-રે છેક પૃથ્વી સુધી આવી શકે છે. આ હાનિકારક કિરણોની ભયાનક અસર પૃથ્વી અને તેના જેવા અન્ય ગ્રહો પર મહાવિનાશ વેરી શકે છે.
અમેરિકાની સ્પેસ સંસ્થા NASAની બ્રહ્માંડમાં ફરતી ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરી દ્વારા નિરીક્ષણ દ્વારા વિગતો જાહેર કરાઈ છે. આ વિગતોમાં જણાવાયું છે કે, સુપરનોવાના અતિ ભયાનક વિસ્ફોટમાંથી બહાર ફેંકાતા એક્સ-રેઝ ઘણા વરસ સુધી અંતરીક્ષમાં ફેલાતા રહીને છેક પૃથ્વી સુધી પણ આવી શકે છે.
નાસાની ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરી દ્વારા મળેલી માહિતી અને ઈમેજીસનો અભ્યાસ કરીને અમેરિકાની ઈલીનોઈસ યુનિવર્સિટીના ઈયાન બ્રન્ટન, કોન્નોર ઓમેહોની, બ્રાયન ફિલ્ડ્ઝ, કેન્સાસ યુનિવર્સિટીના એડ્રીયન મેલોટ્ટ, વોશબર્ન યુનિવર્સિટીના બ્રાયન થોમસ વગેરે ખગોળશાસ્ત્રીઓએ સંશોધનપત્ર રજૂ કર્યું છે. આ સંશોધનપત્ર એસ્ટ્રોફિઝિકલ જર્નલના 2023ના 20 એપ્રિલના અંકમાં પ્રસિદ્ધ થયું છે.
આ સંશોધનપત્રમાં એવી ચેતવણી અપાઈ છે કે 31 સુપરનોવા મહાભયાનક વિસ્ફોટથી ઘટનાનું નિરીક્ષણ કર્યું છે. 31માંના ચાર સુપરનોવા મહા વિસ્ફોટની ઘટનાનું રેકોર્ડિંગ પણ કર્યું છે. આ ચારેય સુપરનોવામાંથી ભારે ઘાતક ગણાતા એક્સ-રે બહાર ફેંકાઈ રહ્યા છે. આ ચારેય સુપરનોવાની સંજ્ઞા એસએન 1979સી, એસએન 1987 એ, એસએન 2010 જેએલ, એસએન 19941 છે.
આ ખગોળશાત્રીઓએ પુરાવા સાથે કહ્યું છે કે આજથી લગભગ 20 લાખ અને 80 લાખ વર્ષ પહેલા પૃથ્વીની નજીક સુપરનોવા મહાવિસ્ફોટ થયા હતા. તે સુપરનોવા પૃથ્વીથી લગભગ 65 અને 500 પ્રકાશ વર્ષ દૂરના અંતરે હતા.
ઉલ્લેખનીય છે કે આધુનિક ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરી ભારતીય-અમેરિકન નોબેલ પારિતોષિક વિજેતા ખગોળશાસ્ત્રી સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરની સ્મૃતિમાં NASAએ તેની એક્સ-રે વેધશાળાનું નામ ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરી રાખ્યું છે.
Advertisement