અમેરિકાએ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી દીધી છે. રાણા 2008ના મુંબઈ આતંકી હુમલામાં સામેલ હતો. અમેરિકાની કેલિફોર્નિયાની એક કોર્ટે તેને ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. ભારત સરકારે રાણાના પ્રત્યાર્પણની વિનંતી કરી હતી.
Advertisement
Advertisement
જૂન 2020 માં ભારતે પ્રત્યાર્પણ માટે રાણાની અસ્થાયી ધરપકડની માંગ કરતી ફરિયાદ દાખલ કરી હતી. જેને બાઇડેન વહીવટીતંત્ર દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું અને ભારતની વિનંતીને મંજૂરી આપવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેક્લીન ચુલજિયાને 16 મેના રોજ 48 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે કોર્ટે વિનંતીના સમર્થન અને વિરોધમાં રજૂ કરાયેલા તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી છે.
કોર્ટે કહ્યું હતું કે તમામ દસ્તાવેજો અને દલીલો સાંભળ્યા બાદ અને તે નિષ્કર્ષ પર આવ્યા છે કે તહવ્વુર રાણા એ ગુનાઓ માટે પ્રત્યાર્પણપાત્ર છે જેના માટે ભારત સરકાર દ્વારા તેના પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી છે. તહવ્વુર રાણાએ 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ હુમલામાં ભૂમિકા ભજવી હોવાનો ખુલાસો થયો હતો. તેથી ભારત દ્વારા તેના પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી હતી ત્યારબાદ તેની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટની સુનાવણી દરમિયાન યુએસ સરકારના વકીલોએ દલીલ કરી હતી કે રાણાનો મિત્ર ડેવિડ કોલમેન હેડલી લશ્કર-એ-તૈયબા જૂથમાં સામેલ છે અને છતાં રાણાએ તેને મદદ કરી હતી. આમ હેડલીની ગતિવિધિઓ માટે બચાવ કામગીરી કરીને રાણાએ આતંકવાદી સંગઠન અને તેના સહયોગીઓને મદદ કરી હતી.
રાણાના વકીલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. ચુકાદો આપતા જજે કહ્યું કે રાણાનું ભારતને પ્રત્યાર્પણ સંપૂર્ણપણે સંધિના અધિકારક્ષેત્રમાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કહ્યું કે તે રાજદ્વારી માધ્યમો દ્વારા રાણાને ભારત લાવવાની કાર્યવાહી શરૂ કરવા તૈયાર છે. NIA લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે.
મુંબઈ હુમલામાં છ અમેરિકન સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલા 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. મુંબઈમાં તાજ પેલેસ હોટેલ જેવી પ્રતિષ્ઠિત ઈમારતો અને સ્થળો પર આ હુમલા 60 કલાક સુધી ચાલુ રહ્યા હતા.
આ હુમલાઓમાં અજમલ કસાબ નામનો આતંકવાદી જીવતો પકડાયો હતો, જેને ભારતમાં 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
Advertisement