મુંબઈઃ મહારાષ્ટ્રના નાંદેડમાં શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. તેમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને મામલાની તપાસની માંગ કરી હતી. હવે વિપક્ષે પણ આ મામલે શિંદે સરકારને ઘેરી છે. પ્રિયંકા ગાંધી, શરદ પવાર સહિત અનેક નેતાઓએ સરકાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવાની માંગ કરતા વિપક્ષે એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધ્યું છે.
Advertisement
Advertisement
રાહુલ અને પ્રિયંકા ગાંધીએ શિંદે સરકારને ઘેરી
આ મામલાને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં દવાઓના અભાવે 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભાજપ સરકાર તેના પ્રચાર પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે, પણ બાળકોની દવાઓ માટે પૈસા નથી ? ભાજપની નજરમાં ગરીબોના જીવની કોઈ કિંમત નથી.
જ્યારે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દવાઓની અછતને કારણે મહારાષ્ટ્રમાં 12 બાળકો સહિત 24 દર્દીઓના મોતના દુઃખદ સમાચાર મળ્યા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવામાં આવે.
નાંદેડની ડો. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 24 દર્દીઓના મોત પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે છેલ્લાં એક વર્ષથી જે રીતે મહારાષ્ટ્ર સરકારના તમામ વિભાગો જે રીતે કામ કરી રહ્યા છે, ન તો આરોગ્યમંત્રીને ચિંતા છે, ન આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે, ન ડૉક્ટરો કામ કરી રહ્યા છે, કોઈનું નિયંત્રણ નથી. આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રમાં સૌથી ઉપેક્ષિત વિભાગ છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર કેબિનેટ આજે એક બેઠકમાં નાંદેડ હોસ્પિટલમાં થયેલા મૃત્યુ અંગે ચર્ચા કરશે. કેબિનેટ આ ઘટના અંગે તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય લઈ શકે છે.
Advertisement