નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ બુધવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર ન્યાયતંત્રની સત્તાને સુનિયોજિત રીતે ક્ષીણ કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ખૂબ જ હેરાન કરનારી ઘટના છે.
Advertisement
Advertisement
સરહદ પર ‘ચીનના અતિક્રમણ’ પર સરકાર પર પ્રહાર કરતા તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સંસદમાં આ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાનો સરકારનો ઇનકાર એ લોકશાહીનો અનાદર છે અને સમગ્ર પ્રકરણમાં સરકારનું મૌન ગંભીર ચિંતાનો વિષય છે.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી અને કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમની અધ્યક્ષતામાં પાર્ટી સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી.
ધ હિંદુ અનુસાર, કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા સોનિયા ગાંધીએ કહ્યું, ‘અન્ય ચિંતાજનક બાબતમાં નવો ઘટનાક્રમ ન્યાયતંત્રની સત્તાને નબળી પાડવાનો સુનિયોજિત પ્રયાસ છે. મંત્રીઓ, ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા નેતા વગેરે જેવાઓને વિવિધ આધારો પર ન્યાયતંત્ર પર પ્રહાર કરતા ભાષણો કરવા માટે કહેવામાં આવ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે, ‘તે એકદમ સ્પષ્ટ છે કે આ સુધારણા માટે યોગ્ય સૂચનો આપવાનો પ્રયાસ નથી. પરંતુ જનતાની નજરમાં ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નીચી પાડવાનો પ્રયાસ છે.
સોનિયા ગાંધીનું નિવેદન છેલ્લા કેટલાક સપ્તાહોથી કેન્દ્ર અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે આવ્યું છે, જ્યાં કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂંક કરવા માટે કોલેજિયમ સિસ્ટમ અંગે ઘણી વખત વિવિધ ટિપ્પણીઓ કરી છે.
વર્તમાન સંસદ સત્રમાં જ તેમણે સુપ્રીમ કોર્ટને જામીન અરજીઓ અને ‘દ્રેષપૂર્ણ’ પીઆઈએલની સુનાવણી ન કરવા જણાવ્યું છે, ત્યારબાદ તેમણે કોર્ટની રજાઓ પર ટિપ્પણી કરી છે અને કોર્ટના કેસોની પેન્ડન્સીને ન્યાયાધીશોની નિમણૂંક સાથે જોડીને કોલેજિયમની બદલે નવી સિસ્ટમ લાવવાની વાત કરી છે.
રિજિજુ ઉપરાંત 7 ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમના પ્રથમ સંસદીય સંબોધનમાં NJAC એક્ટને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢવા પર કોર્ટ પર નિશાન સાધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2014માં સંસદના બંને ગૃહોએ સર્વસંમતિથી નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન (NJAC)ની જોગવાઈ સાથે 99મો બંધારણીય સુધારો પસાર કર્યો હતો, જેમાં ન્યાયાધીશોની નિમણૂંકની 22 વર્ષ જૂની કોલેજિયમ પ્રણાલીની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ વહીવટી તંત્રને એક મુખ્ય ભૂમિકા આપી હતી.
પાછળથી એટલે ઑક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટે આ કાયદાને બંધારણના મૂળભૂત માળખાને અનુરૂપ ન હોવાનું કહીને ફગાવી દીધો હતો.
આનો ઉલ્લેખ કરીને રિજિજુએ ગૃહમાં કહ્યું કે ન્યાયાધીશોની નિમણૂકની વર્તમાન કોલેજિયમ સિસ્ટમ લોકો અને ગૃહની ભાવનાઓને પ્રતિબિંબિત કરતી નથી. સંસદે સર્વસંમતિથી બિલ પસાર કર્યું હતું, પરંતુ 2015માં સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધું હતું.
જો કે આ પહેલા NJACના પ્રશ્ન પર કાયદા મંત્રીએ રાજ્યસભામાં કહ્યું હતું કે હાલમાં તેને ફરીથી લાવવાનો સરકારનો કોઈ પ્રસ્તાવ નથી.
કોર્ટ અને કોલેજિયમ અંગે રિજિજુની તાજેતરની ટિપ્પણીઓ પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ગયા અઠવાડિયે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે શું સરકાર ન્યાયતંત્ર સાથે ટકરાવ કરવાનો પ્રયાસ કરી રહી છે.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ગુરુવારે સોનિયા ગાંધીના ન્યાયતંત્ર વિશેના નિવેદનને ‘સંપૂર્ણપણે અયોગ્ય’ ગણાવ્યું હતું અને રાજકીય પક્ષોના નેતાઓને વિનંતી કરી હતી કે તેઓ ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકો પર પક્ષપાતનો આરોપ ન લગાવે.
ધનખરે કહ્યું કે યુપીએ અધ્યક્ષનું નિવેદન તેમના મંતવ્યોથી સંપૂર્ણપણે અલગ છે અને ન્યાયતંત્રને ક્ષીણ કરવું તેમના વિચારની બહાર છે. યુપીએ અધ્યક્ષનું નિવેદન સંપૂર્ણપણે ગેરવાજબી છે અને તે લોકશાહીમાં તેમની શ્રદ્ધાની ઉણપ દર્શાવે છે.
મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન રહેવું આ સરકારની ઓળખ બની ગઈ છે
બુધવારની બેઠકમાં સોનિયા ગાંધીએ ચીન દ્વારા સરહદે અતિક્રમણના મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે મહત્વના વિષયો પર મૌન રાખવું આ સરકારની ઓળખ બની ગઈ છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘આપણી સરહદ પર ચીનનું સતત અતિક્રમણ ગંભીર ચિંતાનો વિષય છે. આખો દેશ આપણા સતર્ક સૈનિકો સાથે ઉભો છે, જેમણે મુશ્કેલ સંજોગોમાં ચીનના હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. જો કે સરકાર આ અંગે અક્કડ વલણ અપનાવીને સંસદમાં ચર્ચા કરવાનો ઈન્કાર કરી રહી છે. આનું પરિણામ એ છે કે રાજકીય પક્ષો અને જનતા વાસ્તવિક જમીની પરિસ્થિતિથી અજાણ છે.
તેમણે પૂછ્યું, ‘ભવિષ્યમાં ચીનને ઘૂસણખોરી ન કરે તે માટે સરકારની શું નીતિ છે? ચીનની લશ્કરી કાર્યવાહીનો કોઈ આર્થિક પ્રતિસાદ કેમ નથી, કારણ કે ચીન સાથેના અમારા વેપાર સંબંધોમાં ઘટાડો થયો છે, અમે નિકાસ કરતાં વધુ આયાત કરીએ છીએ. વૈશ્વિક સમુદાય પ્રત્યે સરકારનો રાજદ્વારી અભિગમ શું છે?
તેમણે કહ્યું, ‘જ્યારે કોઈ મોટો રાષ્ટ્રીય પડકાર આવે છે ત્યારે સંસદને વિશ્વાસમાં લેવાની પરંપરા રહી છે. ચર્ચા ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર પ્રકાશ પાડી શકે છે. ગંભીર રાષ્ટ્રીય ચિંતાની બાબત પર ચર્ચા કરવાનો ઇનકાર એ લોકશાહી અને સરકારના હેતુ પ્રત્યે અનાદર દર્શાવે છે.
નોંધનીય છે કે બુધવારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી સાંસદોએ સંસદ ભવનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચીન પર ચર્ચાની તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો અને બાદમાં સ્પીકર ઓમ બિરલા ચર્ચા માટે સહમત ન થયા બાદ લોકસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા.
નોંધનીય છે કે, 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે નવેસરથી અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા.
સંસદમાં એક નિવેદનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, 9 ડિસેમ્બરના રોજ ચીની સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિને ‘એકતરફી રીતે’ બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ તેના ‘મક્કમ અને હિંમતભર્યા’ જવાબથી તેમને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી.
જો કે ત્યારથી વિપક્ષ સતત આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો છે.
‘યુવાનોને નોકરી આપવામાં અસમર્થતા એ આ સરકારની ઓળખ’
કોંગ્રેસ સંસદીય દળની બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ આર્થિક સ્થિતિ, મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોને લગતા મુદ્દાઓ પર પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું, ‘બધું બરાબર હોવાના સરકારના દાવા છતાં દેશની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી છે. રોજિંદી જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ અસહ્ય સ્તરે વધી ગયા છે, જેના કારણે કરોડો પરિવારો પર ભારે બોજ પડી રહ્યો છે.
તેમણે દાવો કર્યો હતો કે, “લોકોને ખાસ કરીને યુવાનોને નોકરીઓ આપવામાં અસમર્થતા આ સરકારની ઓળખ રહી છે. વડા પ્રધાને થોડા હજાર લોકોને નિમણૂંક પત્રો વહેંચ્યા હશે પરંતુ કરોડો લોકોનું ભવિષ્ય અનિશ્ચિત છે કારણ કે સરકારમાં ખાલી જગ્યાઓ ભરાઈ નથી, પરીક્ષાઓ વિશ્વસનીય રહી નથી અને PSUsનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોની સ્થિતિનો ઉલ્લેખ કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, “ખેડૂતોને ખેતીની કિંમત, ખાસ કરીને ખાતરની કિંમત, પાકના ભાવ અંગેની અનિશ્ચિતતા અને ખરાબ હવામાનને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ એવું લાગે છે કે (કૃષિ) ત્રણ કાયદાઓને દિશાવિહીન રીતે લાદવાના પ્રયાસો બાદ ખેડૂતો હવે સરકારની પ્રાથમિકતામાં રહ્યાં નથી.
તાજેતરની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને દિલ્હી નગર નિગમની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે દુર્ભાગ્યપૂર્ણ હતા, પરંતુ પાર્ટીએ હિમાચલમાં સરકાર બનાવી છે, જ્યાં લોકોને આપેલા વચનો પૂરા કરવાનો સમય આવી ગયો છે.
Advertisement