નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાઉજ એવેન્યૂ કોર્ટે 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે તે 4 માર્ચ સુધી સીબીઆઇના રિમાન્ડ પર રહેશે. તપાસ એજન્સીએ કોર્ટ પાસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે માની લીધી છે. મહત્વપૂર્ણ છે કે સિસોદિયાને CBIએ રવિવારે દિલ્હી દારૂ નીતિ કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. 9 કલાકની પૂછપરછ પછી તપાસ એજન્સીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP)એ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
Advertisement
Advertisement
CBI તરફથી મનીષ સિસોદિયાના રિમાન્ડ માંગવાનો વકીલ દયાન કૃષ્ણાએ વિરોધ કર્યો હતો. સાથે તેમણે કહ્યુ કે રિમાન્ડ પર લેવાનું કોઇ કારણ નથી અને તપાસમાં સહયોગ ના કરવાનો આરોપ ખોટો છે. સિસોદિયાના વકીલે કહ્યુ કે ઉપ રાજ્યપાલની મંજૂરી પછી કમીશન વધારવામાં આવ્યુ હતુ. ઉપ રાજ્યપાલની જાણકારીમાં બધુ થયુ છે. દારૂ નીતિમાં પારદર્શિતા જાળવવામાં આવી છે. CBIએ કોર્ટમાં કહ્યુ કે સિસોદિયાના કહેવા પર કમીશનને પાંચ કરોડથી વધારીને 12 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.
અદાણીના ઘરે પોલીસ ઘુસીને બતાવે- AAP
આમ આદમી પાર્ટીએ ગૌતમ અદાણીને લઇને પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ. AAPએ ટ્વીટ કરતા લખ્યુ, “મોદીજી, અદાણીના ઘરમાં આ રીતે પોલીસ ઘુસીને બતાવે, તો અમે પણ માનીશું. જે પાર્ટી ગરીબોને સ્વાસ્થ્ય અને શિક્ષણ આપવાનું કામ કરે છે, તેના કાર્યકર્તાઓને પોલીસ મોકલીને પકડવા, કાયરતા નથી તો બીજુ શું છે?”
શું છે દિલ્હીનું દારૂ નીતિ કૌભાંડ?
દિલ્હી સરકારે નવેમ્બર, 2021માં નવી દારૂ નીતિ લાગુ કરી હતી, જે બાદ ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ આ નીતિમાં અનિયમિતતાઓની આશંકા વ્યક્ત કરતા ઘટનાની તપાસ CBI પાસે કરાવવાની ભલામણ કરી હતી.
જુલાઇ, 2022માં સરકારે આ નીતિને રદ કરી દીધી હતી. CBIએ પોતાની તપાસ પછી આ ઘટનામાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી સિસોદિયા સહિત અન્ય વિરૂદ્ધ FIR દાખલ કરી હતી.
સિસોદિયા પર શું આરોપ છે?
મનીષ સિસોદિયા પર કમીશન લઇને દારૂની દુકાનોનું લાયસન્સ લેનારાઓને ફાયદો પહોચાડવાનો આરોપ છે, તેમની પર વિદેશી દારૂની કિંમતમાં બદલાવ કરી અને બીયરથી આયાત શુલ્ક હટાવવાનો આરોપ છે, જેને કારણે વિદેશી દારૂ અને બીયર સસ્તી થઇ ગઇ અને રાજકોષને નુકસાન થયુ હતુ.
સિસોદિયા પર ઉપ રાજ્યપાલની મંજૂરી વગર કોવિડ મહામારીનો હવાલો આપીને 144.36 કરોડ રૂપિયાની લાયસન્સ ફી માફ કરવાનો પણ આરોપ છે.
Advertisement