ગત ચૂંટણીમાં અમરેલી ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપને જાકારો મળ્યો હતો. એ માટે પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોની નારાજગી કારણભૂત હતી. સુરેન્દ્રનગર જિલ્લો પણ સામા પ્રવાહે તર્યો હતો અને અહીં ભાજપનો રકાસ નોંધાયો હતો. અહીં પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેન્ક મજબૂત ગણાય છે. ભાજપે પાંચ વર્ષ દરમિયાન દામ, દંડ, ભેદ જે કંઈ ચાલે તે વાપરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના એક-એક અને સુરેન્દ્રનગર જિલ્લાના બે ધારાસભ્યોને પક્ષપલટો કરાવી એ બેઠક અંકે કરી લીધી. હવે જનતાની અદાલતમાં ભાજપનો અને પક્ષપલટુઓનો ન્યાય થવાનો છે ત્યારે ભાજપ માટે ફરીથી આ ત્રણેય જિલ્લામાં વાતાવરણ સ્હેજે ય આસાન નથી.
Advertisement
Advertisement
જૂનાગઢ જિલ્લોઃ કુલ બેઠક 5
2017માં: ભાજપ – 01, કોંગ્રેસ – 04
જૂનાગઢઃ જ્યાં પાણે પાણે ઈતિહાસ છૂપાયેલો છે એવાં આ શહેરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસના ભીખાભાઈ જોશીની દાયકાઓની મહેનત ફળી હતી. ૨૦૧૭માં તેમની સામે ભાજપ તરફથી સેવાભાવીની છાપ ધરાવતા અગ્રણી મહેન્દ્ર મશરુ હતાં છતાં ભીખા ગલા તરીકે સ્થાનિક સ્તરે ઓળખાતા ભીખાભાઈ ૬૦૦૦થી વધુ મતની સરસાઈથી જીત્યા હતા. આ વખતે ભીખાભાઈ સામે કોંગ્રેસના સંજય કોરડિયા અને આપના ચેતન ગજેરા છે. અહીં પાટીદાર મતદારો વહેંચાઈ જાય એવી સ્થિતિમાં ભીખાભાઈ મજબૂત જણાય છે. પાંચ વર્ષ દરમિયાન તેમની સ્વચ્છ છબી જળવાઈ રહી છે એ તેમનો પ્લસ પોઈન્ટ છે. જોકે વિપક્ષી ધારાસભ્ય હોવાથી ખાસ કામગીરી દાખવી શક્યા નથી તેને માઈનસ પોઈન્ટ પણ ગણવો રહ્યો. આમ છતાં જૂનાગઢની જનતા તેમને વધુ એક તક આપે તો નવાઈ નહિ.
માંગરોળઃ જૂનાગઢના બાબી શાસકોના પિતરાઈનું આ રજવાડું મોટાભાગે કોંગ્રેસનું રજવાડું ગણાતું રહ્યું છે. ગત ચૂંટણીના જ બંને ઉમેદવાર ભાજપના ભગવાનજી કરગઠિયા અને કોંગ્રેસના બાબુ વાજા આ વખતે મેદાનમાં છે. આપના પિયુષ પરમાર પણ સારો એવો પ્રભાવ જમાવી રહ્યા છે. અહીં કાસ્ટ ફેબ્રિક કોંગ્રેસને માફક આવે એવું છે. દલિત અને મુસ્લિમ વોટબેન્ક જો કોંગ્રેસ જાળવી શકે તો બાબુ વાજાંને અહીં પુનરાવર્તનનો લાભ મળી શકે છે.
કેશોદઃ ગત ચૂંટણીમાં અહીં ભાજપના લો પ્રોફાઈલ દેવાભાઈ માલમ જીત્યા હતા. આ બેઠક પર કડવા પાટીદાર, કોળી અને આહિર મતદારો નોંધપાત્ર છે. ભાજપના દેવાભાઈ અને આપના રામજી ચુડાસમા કોળી છે જ્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવા આહિર છે. ભાજપના ટોચના નેતા, પૂર્વ ધારાસભ્ય અને કડવા પાટીદાર અગ્રણી અરવિંદ લાડાણી બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. એટલે અહીં ચતુષ્કોણિય જંગ સ્પષ્ટ છે. આપના ચુડાસમા અને બળવાખોર લાડાણી જોર કરે એટલું ભાજપના દેવાભાઈનું નુકસાન વધે છે. આહિર વોટબેન્ક અકબંધ રહે તો વગર પ્રયત્ને આ બેઠક કોંગ્રેસના ખોળામાં પડી શકે છે.
માણાવદર: આ બેઠકને પોતાના બળબૂતા પર જીતતા જવાહર ચાવડા હવે ભાજપમાં છે પરંતુ આ વખતે તેમના માટે કપરાં ચઢાણ છે. આ બેઠક પર આહિર ઉપરાંત કડવા પાટીદાર સમાજની વોટબેન્ક મોટી ગણાય છે. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ ઝીણા લાડાણી કડવા પાટીદાર સમાજના અગ્રણી હોવાથી પોતાની વોટબેન્ક તેઓ સાચવી લે એવી શક્યતા છે. પરંતુ જવાહર ચાવડાને આપના આહિર ઉમેદવાર કરશન ભાદરકાથી ભય ઊભો થયો છે. પ્રચાર અભિયાનમાં અણધાર્યા અસરકારક સાબિત થયેલાં ભાદરકાને પોતાની વોટબેન્ક તોડતાં અટકાવવા જવાહર ચાવડાએ તમામ તાકાત કામે લગાડવી પડી છે. હવે છેલ્લી ઘડીની તડજોડ પર બધો આધાર છે.
વિસાવદરઃ કોંગ્રેસની ટીકિટ પર ચૂંટાયેલા હર્ષદ રિબડિયા સાવ છેલ્લી ઘડીએ ભાજપનો ખેસ પહેરીને આ ચૂંટણીમાં આવ્યા છે પરંતુ પક્ષપલટો કરવાનું હવે તેમને નડી રહ્યું હોય એમ જણાય છે. અહીં કોંગ્રેસના કરશન વડોદરિયા કરતાં પણ આપના ભુપત ભાયાણીનો ઝંઝાવાતી પ્રચાર રિબડિયાને પરસેવો લાવી રહ્યો છે. તેઓ મફત વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવા આપના મુદ્દાઓ ઉપરાંત પક્ષપલટાનો મુદ્દો પણ આગળ કરી રહ્યા છે. રિબડિયા જો છેલ્લી ઘડીની ગોઠવણો કરવામાં નિષ્ફળ રહે તો આ બેઠક પર નવાજૂનીના એંધાણ નકારી શકાય નહિ.
આ પણ વાંચો: #ઝીણી નજરે ભાજપને બારેમાસ ફળતો કચ્છડો આ વખતે ફિફ્ટી-ફિફ્ટીના મૂડમાં
ગીર સોમનાથ જિલ્લોઃ કુલ બેઠક 04
2017માં: ભાજપ – 00, કોંગ્રેસ – 04
ચાર વિધાનસભા બેઠકો ધરાવતા આ જિલ્લો ગઈ ચૂંટણીમાં અમરેલી જિલ્લાની માફક ભાજપમુક્ત થઈ ગયો હતો. આ વખતે ભાજપ અહીં નોંધપાત્ર આશા રાખી શકે તેમ છે. આમઆદમી પાર્ટીનું પરિબળ પણ ભાજપને કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે.
તાલાળાઃ કોંગ્રેસનો ગઢ ગણાતાં તાલાળામાં ભગાભાઈને તોડીને ભાજપે હાશકારો લીધો છે. જોકે ભગાભાઈ પોતે હાશકારો લેવાની સ્થિતિમાં નથી. આ બેઠક પર કારડિયા, આહિર અને કોળી વોટબેન્ક નિર્ણાયક છે. ભગાભાઈની સામે કારડિયા અગ્રણી માનસિંહ ડોડિયા અને આપના કોળી નેતા નરેન્દ્ર સોલંકી એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે. એટલે ભગાભાઈ માટે આ વખતે આકરી મહેનત કરવી અનિવાર્ય છે. એમ છતાં પરિવારના વર્ચસ્વના જોરે ભગાભાઈ છેલ્લી ઘડીએ મેળ પાડી શકે છે.
કોડીનારઃ ગત ચૂંટણીમાં કોંગ્રેસના મોહન વાળાએ અહીં આશરે પંદર હજાર મતની સરસાઈ મેળવીને ભારે અપસેટ સર્જ્યો હતો. આ વખતે ભાજપે સમજદારીપૂર્વક અહીં ડો. પ્રદ્યુમન વાજાને ઉતાર્યા છે. ગામડાંઓમાં લોકપ્રિયતા ધરાવતા વાજાં અને દિનુ બોઘા સોલંકી ફેક્ટરના કારણે ભાજપ આ વખતે કોડીનાર માટે નિશ્ચિંત રહી શકે છે.
સોમનાથઃ આ બેઠક પર પણ કોળી, કારડિયા અને આહિર સમીકરણ ચલણી ગણાય છે. કોંગ્રેસના કોળી અગ્રણી વિમલ ચુડાસમા સીટીંગ ધારાસભ્ય છે. સામે ભાજપના માનસિંહ પરમાર કારડિયા સમાજના નેતા છે. આમઆદમી પાર્ટી તરફથી ઊભેલા આહિર અગ્રણી જગમાલ વાળા અગાઉ અપક્ષ તરીકે આ બેઠક પર ૨૨ હજાર મત મેળવી ગયા હતા. આ વખતે તેઓ ગેમ ચેન્જર છે. અહીં આહિરો મોટાભાગે કોંગ્રેસતરફી વોટબેન્ક ગણાય છે. એ જોતાં જગમાલ વાળા વિમલ ચુડાસમાને નડે એવી શક્યતા નકારી શકાય નહિ.
ઉનાઃ ભાજપ જ્યાં એક જ વાર જીત્યું છે એવી આ બેઠક પર પૂંજા વંશ અને ભાજપના કાળુ ચના રાઠોડ વચ્ચેનો જંગ આમઆદમી પાર્ટીના ઉમેદવારના કારણે દિલચશ્પ બન્યો છે. આ બેઠક પર કોળી સમુદાય સૌથી મોટી સંખ્યા ધરાવે છે. બીજા ક્રમે ૫૨૦૦૦ પાટીદારો છે. આપના સેજલ ખુંટ પાટીદારોના મત અંકે કરી જાય એ સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાળ પડે છે. મોટાભાગે આ બેઠક પર પાતળી સરસાઈથી હારજીત થાય અને તેમાં કોંગ્રેસનો હાથ ઉપર રહે તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લોઃ કુલ બેઠક 5
2017માં: ભાજપ –01, કોંગ્રેસ – 04
ગત ચૂંટણીમાં આ જિલ્લામાં મળેલો જાકારો ભાજપને ભારે પડ્યો હતો. આ વખતે ભાજપે સ્થિતિ સુધારવા પક્ષપલટાથી માંડીને તમામ શક્ય પગલાંઓ લીધાં છે જેનું ફળ ભાજપને મળી શકે છે.
ચોટીલાઃ ગત ચૂંટણીના વિજેતા ઋત્વિક મકવાણા આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની સામે ભાજપના શામજી ચૌહાણ કરતાં ય ખરો ભય આપના રાજુ કરપડાનો છે. સ્થાનિક તરીકે કિસાન નેતા તરીકેની છબી ધરાવતા રાજુ કરપડા મોટાભાગે ઋત્વિક મકવાણાના મત તોડે એવી શક્યતા જણાય છે. લીંબડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ચેતન ખાચર નામના કાઠી નેતાને ટીકિટ આપી હતી ત્યારથી આ વિસ્તારમાં કાઠી સમાજ કોંગ્રેસ તરફી મનાય છે. એ સંજોગોમાં કાઠી યુવા અગ્રણી રાજુ કરપડા નિર્ણાયક છે. છતાં ય ઋત્વિક મકવાણાને તેમની સક્રિયતા અને જનસંપર્ક ફળી શકે છે.
લીંબડીઃ કોળી, ક્ષત્રિય અને ભરવાડ સમુદાયનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના કલ્પનાબહેન મકવાણાનો જંગ છે. એક તરફ કિરીટસિંહનું વર્ચસ્વ છે તો બીજી તરફ મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત પિતા સવશીભાઈ મકવાણાનું નામ કલ્પનાબહેનને ફળી રહ્યું છે. એકંદરે આ બેઠક પર કલ્પનાબહેન આશ્વાસ્ત રહી શકે છે.
ધ્રાંગધ્રાઃ ગત ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ઉમેદવાર પરશોતમ સાબરિયાને પક્ષપલટો કરાવીને ભાજપે નિવૃત્ત કરી દીધા એ પછી હવે પ્રકાશ વરમોરા ભાજપના ઉમેદવાર છે. સામે છતરસિંહ ગુજરિયા અને આપના વાગજી પટેલ છે. આપના ઉમેદવાર ખાસ મત તોડી શકે એવી શક્યતા જણાતી નથી. એ સંજોગોમાં વરમોરાની અંગત છબી અને ભાજપનું મજબૂત સંગઠન જીત માટે આશાવાદ ઊભો કરી શકે છે.
વઢવાણઃ ગત ચૂંટણીમાં ઉદ્યોગપતિ ધનજીભાઈ પટેલ ૨૦ હજાર મતની સરસાઈથી જીત્યા હોવા છતાં ભાજપે પહેલાં આ બેઠક પર જિજ્ઞા પંડ્યાને ઉમેદવાર બનાવ્યા અને છેલ્લી ઘડીએ ફેરફાર કરીને સથવાર સમાજના અગ્રણી જગદીશ મકવાણાને તક આપી છે. સામે કોંગ્રેસના તરુણ ગઢવી અને આપના હિતેશ બજરંગી છે. પાટીદાર ઉમેદવાર ન હોવાથી તેમના મત નિર્ણાયક બનશે. ભાજપ મુખ્યત્વે સથવારા સમાજના મત પર નિશાન તાકે છે, જે ફળી શકે છે.
દસાડાઃ અનસુચિત જાતિ માટેની આ અનામત બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર નૌશાદ સોલંકી સામે ભાજપે પરશોતમ પરમાર અને આમઆદમી પાર્ટીએ અરવિંદ સોલંકીને પસંદ કર્યા છે. દલિત મતદારો ઉપરાંત ઓબીસી સમુદાય અને મુસ્લિમોના મતના આધારે તેમજ પોતાની સક્રિયતા અને અંગત લોકપ્રિયતાના આધારે નૌશાદ સોલંકી ફરીથી રિપિટ થાય તો નવાઈ નહિ
Advertisement