રાંચી: ઝારખંડના પલામૂ જિલ્લાના પાંકીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. વિવાદ બાદ મારપીટ થતા બન્ને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સબ ડિવિઝનલ પોલીસ અધિકારી આલોક કુમાર ટૂટી સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં આઇઆરબી જવાન અને પોલીસ કર્મી પણ સામેલ છે. બનાવની જાણ થતા પલામૂ ડીસી એ દોડ્ડે, એસપી ચંદન કુમાર સિન્હા સહિત કેટલાક સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોચ્યા હતા.
Advertisement
Advertisement
આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઝારખંડ સરકારના ગૃહ વિભાગે ટેલીકૉમ કંપનીઓને આદેશ આપ્યા છે કે 16 ફેબ્રુઆરીએ સાંજે ચાર વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ રાખો.
શું છે ઘટના?
મળતી માહિતી અનુસાર, બુધવાર સવારે 7.30 વાગ્યે મહાશિવરાત્રિને લઇને મસ્જિદ રોડમાં તોરણ દ્વાર લગાવવા માટે ખાડો ખોદવામાં આવતો હતો. આ દરમિયાન બીજા પક્ષના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ વાતને લઇને બન્ને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો અને ઘટના મારપીટ સુધી પહોચી ગઇ હતી. થોડી વારમાં જ બન્ને તરફથી પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને સ્થિતિ નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થિતિ નિયંત્રણમાં
આ દરમિયાન ઉપદ્રવિઓએ ત્રણ ગુમટી સહિત એક બાઇકને આગને હવાલે કરી હતી. મકાનની બારીમાં લાગેલો કાચ તોડી નાખ્યો હતો. આ સિવાય એક સ્ટોર અને કરિયાણાની દુકાન સામે લાગેલા બોર્ડને નુકસાન થયુ હતુ. જોકે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.
પાંકીમાં કલમ 144 લાગુ
સદર સબ ડિવિઝનલ ઓફિસર રાજેશ કુમાર સાહે જણાવ્યુ કે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, તેનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઇને પણ કામ વગર બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે. કોઇ એક જગ્યા પર બેથી વધુ લોકોના ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે.
Advertisement