લંડન: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લંડનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતુ. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે લોકશાહી માટે જરૂરી સંસ્થાકીય માળખું ખોરવાઈ રહ્યું છે અને ભારતીય લોકશાહીના મૂળભૂત માળખા પર હુમલો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર તેમની જાસૂસી કરવા માટે પેગાસસનો ઉપયોગ કરી રહી છે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધી, જે કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલના વિજિટિંગ ફેલો છે તેમણે ’21મી સદીમાં સાંભળવા માટે શીખવુ’ વિષય પર યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપ્યુ હતુ. કોંગ્રેસ સાંસદે કહ્યુ, “ભારતીય લોકતંત્ર પર હુમલો થઇ રહ્યો છે. અમે લોકતંત્ર પર હુમલાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
રાહુલ ગાંધીએ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યુ, “મારા ફોનમાં પેગાસસ હતું, મોટી સંખ્યામાં રાજનેતાઓના ફોન પર પેગાસસ હતું. મને ફોન પર વાત કરતા સમયે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું હતું.”
પોતાના પ્રવચનમાં રાહુલ ગાંધીએ સરકાર પર મીડિયા અને ન્યાયપાલિકાને નિયંત્રિત કરવા, નજર રાખવા, ડરાવવા-ધમકાવવા, લઘુમતી, દલિત અને આદિવાસીઓ પર હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધી બ્રિટનના એક અઠવાડિયાના પ્રવાસ પર છે અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી અને ભારત-ચીન સબંધો પર બંધ રૂમમાં કેટલાક સત્રમાં ભાગ લેવાના છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC) UK ચેપ્ટરના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે અને લંડનમાં “ભારતીય ડાયસ્પોરા કોન્ફરન્સ”ને પણ સંબોધિત કરશે.
રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તમે નરેન્દ્ર મોદીની સારી નીતિઓ વિશે કહી શકો છો જે ભારતના હિતમાં છે? જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, “ભારત રાજ્યોનો સંઘ છે, ભારતમાં ધાર્મિક વિવિધતા છે. શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા ભારતમાં છે, પરંતુ મોદી તેમને બીજા વર્ગના નાગરિક માને છે. હું આ સાથે સહમત નથી. જ્યારે તમારો વિરોધ એટલો પાયાનો છે ત્યારે ફરક નથી પડતો કે તમે કઇ બે-ત્રણ નીતિઓથી સહમત છો. અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી. આ યાત્રા દરમિયાન મને સમજાયું કે મારી પાસેની જગ્યા સુરક્ષિત હોય જેથી જે લોકો યાત્રા સાથે જોડાયા તે સુરક્ષિત અનુભવ કરી શકે.”
Advertisement