ગાંધીનગર: વર્ષ 2022 પૂર્ણ થવા જઇ રહ્યુ છે અને 2023ના નવા વર્ષની ઉજવણી શરૂ થઇ ગઇ છે. 2022માં ગુજરાતમાં કેટલીક એવી ઘટનાઓ બની જે યાદગાર બની ગઇ જ્યારે કેટલીક એવી ઘટના પણ બની જેને કારણે રાજ્ય સરકાર પર સવાલ પણ ઉભા થયા. 2022માં મોરબીમાં પુલ તૂટતા 135 લોકોના મોત થયા હતા. જ્યારે વર્ષના અંતે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 2022માં બનેલી આવી જ કેટલીક મહત્વની ઘટનાઓ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
Advertisement
Advertisement
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ 25 વર્ષનું શાસન ટકાવી રાખ્યુ હતુ અને 182માંથી 156 બેઠક જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ત્રીજા પક્ષ તરીકે ઉદય થયો હતો અને 5 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યુ હતુ અને માત્ર 17 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
મોરબી પૂલ તૂટતા 135 લોકોના મોત થયા
30 ઓક્ટોબર 2022માં મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા 135 કરતા વધુ લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનાએ 1979માં મચ્છુ ડેમ દૂર્ઘટનાની યાદ અપાવી દીધી હતી. ઘડિયાળ બનાવતી કંપનીને આ પૂલના રિપેરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેની બેદરકારીને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ દૂર્ઘટના એવા સમયે સર્જાઇ હતી જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી ચાલતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દૂર્ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યુ હતુ અને તુરંત દર્દીઓને મળવા માટે મોરબી પહોચ્યા હતા અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન
ગુજરાતમાં પ્રથમ વખત 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દેશભરના 36 રમતના 20 હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સની વિવિધ રમતોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતને વંદે ભારત અને અમદાવાદને મેટ્રો ટ્રેન મળી
30 સપ્ટેમ્બર 2022નો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે અવિસ્મરણીય બન્યો હતો. આ દિવસે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ મળી હતી જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1નો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી મુંબઇ વચ્ચેની સુપરફાસ્ટ વંદે ભારત ટ્રેનનું ઉદ્દઘાટન કર્યુ હતુ અને આ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી આવ્યા હતા. તે પછી કાલુપુર રેલ્વે સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને વડાપ્રધાન મોદીએ દૂરદર્શન ટાવર સુધી મુસાફરી કરી હતી.
અટલ બ્રિજની પણ શરૂઆત
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વોક વે બ્રિજ અટલ બ્રિજની પણ આ વર્ષે શરૂઆત થઇ હતી. અમદાવાદને પૂર્વથી પશ્ચિમ જોડતા ફૂટ ઓવર બ્રિજે અમદાવાદીઓનું મન મોહી લીધુ હતુ અને મોટી સંખ્યામાં લોકો તેને નીહાળવા માટે ઉમટી પડતા હતા. અટલ બ્રિજ રિલ્સનું કેન્દ્ર બની ગયુ હતુ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અવાર નવાર અટલ બ્રિજના વીડિયો શેર કરતા થઇ ગયા હતા.
આ પણ વાંચો: Year Ender 2022: G20ની અધ્યક્ષતા- 5Gની શરૂઆત, સિદ્ધિથી ભરેલુ રહ્યુ 2022, જાણો શું રહ્યું ખાસ
લઠ્ઠાકાંડમાં 42 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
25 જુલાઇ 2022માં બોટાદ, ધંધૂકા અને સુરેન્દ્રનગરમાં લઠ્ઠાકાંડને કારણે 42 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જોકે, રાજ્ય સરકારે લઠ્ઠાકાંડ નહી પણ રાસાયણિક ઝેર પીવાને કારણે લોકોના મોત થયા હોવાનું તર્ક આપ્યુ હતુ. આ દૂર્ઘટનામાં અમદાવાદના પીરાણા પાસે પીપળજમાં એમોસ કેમિકલની ભૂમિકા હોવાનું સામે આવ્યુ હતુ. જોકે, વિવાદ વચ્ચે પણ એમોસના ડિરેક્ટર સમીર પટેલ સામે કોઇ ગુનો નોંધાયો નહતો.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો
26 જુલાઇ 2008માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં 38 આરોપીઓના ગુનાને રેરેસ્ટ ઓફ રેર ગણીને ફાંસીની સજા જ્યારે અન્ય 11ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
2022માં પેપર લીક
2022માં પેપર લીકનો સીલસીલો યથાવત રહ્યો હતો. સાણંદના પ્રિન્ટિગ પ્રેસમાંથી ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થયુ હતુ જે બાદ વિવાદ થયો હતો. નવી સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લેતા પંચાયત સેવા પસંદગી બોર્ડ અે ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC સહિતની ભરતીના સંસ્થાઓમાંથી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને નિયામક મંડળમાંથી નિયુક્ત થયેલા તમામ પદાધિકારીઓના રાજીનામા લઇ લીધા હતા.
Advertisement