અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે વિપુલ ચૌધરીની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી છે. હાઇકોર્ટે અવલોકન કર્યુ કે આ ગંભીર ગુનો છે. વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખના ગઇકાલે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ભ્રષ્ટાચારના કેસમાં કસ્ટડીમાં છે. વિપુલ ચૌધરીએ ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી જે હાઇકોર્ટે ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીએ હાઇકોર્ટમાં રાજકીય કિન્નાખોરીમાં પોતાની ઉપર કેસ થયો હોવાની રજૂઆત કરી હતી. વિપુલ ચૌધરીએ વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની ફરિયાદ કરી હતી. વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એન્ટીકરપ્શન બ્યુરોને મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી આપવામાં આવી હતી. 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ હોવાના આરોપ સાથે ACBએ વિપુલ ચૌધરી પર કેસ કર્યો હતો.
આ પણ વાંચો: વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું જેલ ભરો આંદોલન, અનેક કાર્યકરોની અટકાયત
મહત્વપૂર્ણ છે કે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ ગામે ગામ રેલી અને સમ્મેલનનું આયોજન કર્યુ હતુ. આ દરમિયાન 20 ઓક્ટોબરે જેલ ભરો આંદોલન પણ કર્યુ હતુ જે બાદ અર્બુદા સેનાના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
Advertisement