અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ વર્ષે અહી જી-20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ચીન અને અમેરિકા સહિત દેશમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યુ છે અને માસ્ક વગર લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.
Advertisement
Advertisement
ફ્લાવર શોને લઇને અમદાવાદના મેયરે કહ્યુ કે મહાનગરપાલિકાએ 31 ડિસેમ્બર 2022થી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ, ઇવેન્ટ ગાર્ડન અને ફ્લાવર ગાર્ડનમાં અમદાવાદ ફ્લાવર શોનું આયોજન કર્યુ છે. ફ્લાવર શોને કારણે અટલ બ્રિજના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી અટલ બ્રિજ બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે. જે બાદ અટલ બ્રિજ પર લોકોને જવાની પરવાનગી આપવામાં નહી આવે.
ફ્લાવર શોના મુખ્ય આકર્ષણ પર નજર કરીએ તો અહી મહેદીના છોડથી ઓલિમ્પિક સાથે જોડાયેલી વિવિધ રમતની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.G20 શિખર સમ્મેલન ભારતમાં યોજાવા જઇ રહ્યુ છે તેને ધ્યાનમાં રાખતા અહી કેટલાક આકર્ષણના કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ સિવાય દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે તેને લઇને પણ કેટલાક સ્કલ્પચરને ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે જેમાં 200 ફૂટ પહોળી ગ્રીન વૉલ બનાવવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ 2.50 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કર્યુ છે. સ્કૂલના બાળકો માટે પ્રવેશ મફત છે જ્યારે અન્ય માટે પ્રવેશ ફી 30 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Advertisement